સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકામાં 1962 કરુણા અભિયાન અંતર્ગત શહેરમાં 10 ગામોમાં ફરતી 15 મોબાઈલ પશુ એમ્બ્યુલન્સ પશુ સારવાર કરતી હોય છે. જે કોલ આવતાની સાથે જ સ્થળ પર પહોંચી જાય છે અને સારવાર શરૂ કરે છે. તો, વિશ્વ હડકવા દિવસને લઈને પશુપાલન વિભાગ અને GVK EMRI દ્વારા સાબરકાંઠા જિલ્લામાં માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.
કાર્યરત GVK EMRIના પશુ ચિકિત્સકો દ્વારા ગામડાઓ, સ્કૂલો અને કોલેજોમાં વિશ્વ હડકવા દિવસની ઉજવણીને લઈને ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ સેમીનાર કરવામાં આવ્યો હતો. તલોદના અણીયોડ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં હડકવાને લઈને માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. ગામની પ્રાથમિક શાળામાં GVK EMRIનાં વેટરનરી ડોકટર દ્વારા હડકવા રોગ વિશેની માહિતી આપવામાં આવી હતી. વિશ્વ હડકવા દિવસની ઉજવણીના ભાગ રૂપે GVK EMRIનાં પ્રોગ્રામ મેનેજર ડૉ. મયંક પટેલ, પ્રતીક સુથાર, ડૉ. ધૃપલ પટેલ અને ટીમ તેમજ અનિયોડ પ્રાથમિક શાળાના આચાર્ય સોહિલ બારોટ સહિત શિક્ષકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
આ અંગે સાબરકાંઠાના 1962 એમ્બ્યુલન્સના પ્રતિક સુથારે જણાવ્યું હતું કે, હડકવા વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીઓની લાળ ગ્રંથીઓમાં હાજર હોય છે. શ્વાનને હડકવા થયો હોય તો તે પાણીથી દૂર ભાગે છે અને હડકાયું પશુ પ્રાણીઓને પહેલા નિશાન બનાવે છે. હડકવા બાદ શ્વાન કોઈને કરડે તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ અને હડકવા વિરોધી ઇન્જેક્શન પણ સલાહ પ્રમાણે લેવા જોઈએ. જેથી હડકવા થતો અટકાવી શકાય છે. જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં ડોગ બાઈટના 25 કેસો નોંધાયા છે.