હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની કોઈ આગાહી કરી ન્હોતી પરંતુ, દક્ષિણ ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત સીસ્ટમ સક્રિય બનતા મેઘરાજાનું જોર એકદમ વધી ગયું હતું. સૌરાષ્ટ્ર ઉપર મંગળવારે બપોર પછી ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. અગાઉ વ્યાપક વરસાદમાં વાવણી થયા બાદ કેટલાક દિવસના એકંદરે વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી હતી. રાજ્યના 140 તાલુકામાં રાત્રિ સુધીમાં વરસાદ વરસ્યો છે તેમાં સૌથી વધુ રાજકોટ નજીકના લોધિકા તાલુકામાં સાડા પાંચ ઈંચ જેટલું પાણી વરસી જતા ધસમસતા પાણી વહેતા થયા હતા. સાંજે ચારથી છ બે કલાકમાં જ ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
જ્યારે પાટણ-વેરાવળમાં સાંજે 6 સુધી માત્ર અડધો ઈંચ વરસાદ બાદ 6થી 8 બે કલાકમાં જ સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલીના લાઠીમાં પણ સાંજે 4થી 8 દરમિયાન ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ, બગસરામાં બે કલાકમાં બે ઈંચ સહિત 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મેંદરડા અને તળાજામાં પણ બે કલાકમાં રાત્રે આઠ સુધીમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ, બપોર પછી જ્યાં વરસાદ વરસ્યો ત્યાં એકસામટો વરસતા ઠેરઠેર જળબંબાકાર સર્જાયા હતા.
વિજળીએ 3 લોકોનો લીધો ભોગ
વરસાદ સાથે વિજળીના પ્રચંડ કડાકા ભડાકા થયા હતા અને જામનગર પંથકમાં વિજળીએ બે ખેડૂત અને એક મહિલા સહિત ત્રણનો જીવ લીધો હતો. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે રહેતા અને ખેતીકામ કરતા કિરીટસિંહ બચુભા ઝાલા (ઉ.વ.55) પોતાની વાડીએ બપોરના સાડાચારેક વાગ્યે હતા ત્યારે વિજળી પડતા તાત્કાલિક મૃત્યુ નીપજ્યું હતું. આજ તાલુકાના નરમાણા ગામમાં દેવરખીભાઈ અરજણભાઈ ડાંગર નામના ખેડૂત યુવાન ઉપર પણ વિજળી પડતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મામલતદાર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.આ ઉપરાંત જામનગર તાલુકાના દોઢિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા મનીષાબેન નામની શ્રમજીવી મહિલા ઉપર વિજળી પડવાથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે ખેતીકામ કરતા અલ્પેશ નામના 18 વર્ષનો યુવાન વિજળીથી ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલે ખસેડાયેલ છે. પોલીસે તપાસ હાથ ધરી હતી. જામનગરના લાલપુરના પ્રવેશદ્વાર પર વિજળી ત્રાટકી હતી પણ સદભાગ્યે ત્યાં કોઈને ઈજા ન્હોતી પહોંચી.
20 ગામોમાં વિજળી ડૂલ
સૌરાષ્ટ્રમાં અચાનક આવેલા ભારે વરસાદથી 192 વિજથાંભલાઓને નુક્શાન થયું હતું અને 20થી વધુ ગામોમાં વિજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. ખેતીવાડીના 47 સહિત 55 ફીડરમાં ફોલ્ટ સર્જાયો હતો. જેમાં સૌથી વધુ જામનગરમાં 70, જુનાગઢ જિલ્લાના 58, ભાવનગરના 37, પોરબંદરના 16 સહિત 192 વિજથાંભલાને નુકસાન થયું છે અને 20 ટ્રાન્સફોર્મર પણ ડેમેજ થયા હતા.