જો તમે મેદસ્વિતાથી પીડિત છો અને કોલેસ્ટેરોલ તેમજ બ્લડ સુગર લેવલ ઓછું કરવા માગો છો તો સાંજની એક્સર્સાઈઝ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. સાંજે એક્સર્સાઈઝ કરવાથી કોલેસ્ટેરોલ અને બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે.
આ દાવો ઓસ્ટ્રેલિયન કેથોલિક યુનિવર્સિટીના સંશોધકોએ તેમનાં રિસર્ચમાં કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે, જે ઓવરવેટ લોકો વધારે ફેટી ડાયટ લઈ રહ્યા છે તેમને ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ છે. આવા લોકો જો સાંજે એક્સર્સાઈઝ કરે છે તો તેમના મેટાબોલિક હેલ્થમાં સુધારો થાય છે.
ડાયાબિટોલોજિયા જર્નલમાં પ્રકાશિત રિસર્ચ કહે છે કે આ સ્ટડી ખાસ કરીને એવા લોકો માટે મહત્ત્વની છે જે ડાયાબિટીસથી પરેશાન છે અને તેમને બ્લડ સુગર કન્ટ્રોલ કરવામાં મુશ્કેલી થાય છે.
આ રીતે થયું રિસર્ચ
- રિસર્ચમાં છેલ્લા 11 દિવસ સુધી ફેટી ડાયટ લીધું હોય તેવા 24 લોકોને સામેલ કરવામાં આવ્યા.
- તેમની ફિટનેસ, કોલેસ્ટેરોલ અને બ્લડ સુગર લેવલની તપાસ કરવામાં આવી. તેમની ડાયટની ટેવ પૂછવામાં આવી.
- રિસર્ચમાં 30થી 45 વર્ષના લોકો સામેલ હતા. તેમનો બોડી માસ ઈન્ડેક્સ 27થી 35 વચ્ચે હતો.
- આ લોકોને 3 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. પ્રથમ ગ્રુપને સવારે 6:30 વાગ્યે એક્સર્સાઈઝ કરવા માટે કહેવામાં આવ્યું બીજા ગ્રુપને સાંજે 6:30 વાગ્યે એક્સર્સાઈઝ માટે કહેવાયુ તો ત્રીજા ગ્રુપને એક્સર્સાઈઝ ન કરવા માટે કહેવામાં આવ્યું.
- રિસર્ચના પાંચમા દિવસે જોવા મળ્યું કે સાંજે એક્સર્સાઈઝ કરી રહેલા લોકોમાં ગ્લુકોઝ, ઈન્સ્યુલિન, કોલેસ્ટેરોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું લેવલ ઘટ્યું હતું.
આ કારણે સાંજની એક્સર્સાઈઝ બેસ્ટ
સંશોધક ડૉ. મોહોલ્ડના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે સવારે અને સાંજે એક્સર્સાઈઝ કરવાની અસર એક જેવી હોય છે. તે હાર્ટ અને શ્વાસ માટે ફાયદાકારક છે, પરંતુ રાતે બ્લડ સુગર કન્ટ્રોલ કરવામાં સાંજની એક્સર્સાઈઝ વધુ સારી રહે છે.
હાર્ટ ફેલ થયેલું હોય તેવા લોકો માટે સાંજની એક્સર્સાઈઝ ફાયદાકારક
રિસર્ચ પ્રમાણે, એક્સર્સાઈઝ કરવાનો આ સમય એવા લોકો માટે ફાયદાકારક છે જે ડાયટમાં વધારે ફેટવાળી વસ્તુ લે છે. રિસર્ચમાં મેદસ્વિતાથી પીડિત લોકોને જ સામેલ કરાયા હતા તેથી આ રીત તમામ લોકો પર લાગુ કરી શકાતી નથી.