રાજકોટમાં હાલ કોરોના વેક્સિનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં સિનિયર સિટીઝનો હોંશે હોંશે કોરોના વેક્સિન મૂકાવી રહ્યાં છે. યુવાનોને પાછળ રાખી તે પ્રકારે સિનિયર સિટીઝનો રસી મૂકાવા માટે ઉમટી રહ્યાં છે. રાજકોટ મનપા દ્વારા ઝોનલ ઓફિસે સિનિયર સિટીઝનો કોરોના વેક્સિન મૂકાવા માટે ઉમટી પડ્યા છે. બીજી તરફ એક તબીબને પ્રથમ ડોઝમાં નોંધપાત્રા એન્ટીબોડી આવ્યાનું સામે આવ્યું છે.
વેક્સિનની કોઈ આડઅસરના કિસ્સા હજુ સુધી નોંધાયા નથી
સિવિલ હોસ્પલિટલના તબીબ ડો.પંકજ બુચે જણાવ્યું હતું કે, આ વેક્સિનની કોઈ આડઅસરના કિસ્સા હજુ સુધી નોંધાયા નથી. પરંતુ બાળકોને જેમ વિવિધ રસી અપાય ત્યારે સામાન્ય તાવ, માથુ દુખવા જેવા લક્ષણો હોય છે તે દરેક પ્રકારની રસી મુકાવીએ ત્યારે થતા હોય છે. કોઈ પણ વ્યક્તિને કોરોના થયો હોય તેમને શરીરમાં એન્ટીબોડી આવી જતું હોય છે.
પ્લાઝમાના દાનથી 620 દર્દીઓને સારવાર અપાઇ
સિવિલના ડો.કૃપાલ પુજારાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આવા સાજા થયેલા દર્દીમાં સાતેક મહિના પછી પણ એન્ટીબોડી પુરતા પ્રમાણમાં જોવા મળ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં આવા દર્દીઓએ કરેલા પ્લાઝમાના દાનથી 620 દર્દીઓને સારવાર અપાય છે. વેક્સિન લેવાથી જે એન્ટીબોડી આવે છે તે શરીરનું કોરોનાથી રક્ષણ કરશે. જોકે તે વ્યક્તિનું પ્લાઝમા અન્ય દર્દીને ચડાવાતું નથી.
એક મહિનામાં સિનિયર સિટીઝનોને રસી આપી દેવાશે
શહેરમાં અગાઉ 21 હજારથી વધુ હેલ્થ વર્કર, કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સીન અપાઇ છે અને ગત ત્રણ દિવસમાં જ 60 વર્ષથી વધુ ઉંમરના આશરે 10 હજારથી વધુ સિનિયર સિટીઝનોને વેક્સિન અપાય છે. એક મહિનામાં 60થી મોટી વયના લોકોનું રસીકરણ પૂરૂ થઈ જશે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે મનપાના કેન્દ્રોમાં આ વેક્સિન હવે સ્થળ ઉપર જ નોંધણી કરીને તદ્દન વિનામૂલ્યે અપાય છે. જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલોમાં આ માટે રૂ.250નો ચાર્જ લેવા સરકારે છૂટ આપી છે. જો કે 50 વર્ષથી મોટી વયના ઘણા લોકો રસી લેવા ઈચ્છે છે પરંતુ આ માટે હજુ સરકારે નિર્ણય લીધો નથી.