કેન્દ્ર સરકારે લાગુ પાડેલા નવા હોલમાર્ક કાયદામાં અનેક જટીલ પ્રક્રિયા હોવાથી તેમાં રાહત આપવાની માગણીનો સરકાર દ્વારા સ્વીકાર નહીં થતા છેવટે દેશભરના સોની વેપારીઓ અને જ્વેલર્સો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. જેમાં દેશવ્યાપી હડતાળમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સોની વેપારીઓ જોડાઇ વિરોધમાં સમર્થન આપ્યું છે. અને આવતીકાલે 23 ઓગષ્ટને સોમવારના રોજ દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં સોના-ચાંદીના કાગરીગો પણ જોડાશે.
કરોડોના વેપારને અસર થવાની શક્યતા
દેશવ્યાપી હડતાળમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જ્વેલર્સો સોની બજાર પણ હડતાળમાં જોડાશે. તેને પગલે કરોડોના વેપારને અસર થવાની શક્યતા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. તેમાં તમામ શોરૂમ, જથ્થાબંધના વેપારીઓ તથા સોના-ચાંદીના કારીગરો પણ જોડાશે તેવો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હોલમાર્ક કાયદામાં અનેક જટીલ પ્રક્રિયા હોવાથી તેમાં રાહત આપવાની માગણીનો સરકાર દ્વારા સ્વીકાર નહીં થતા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
યુનિક આઇ.ડી. નિયમ સામે વાંધો
વેપારીઓના જણાવ્યાનુસાર હોલમાર્ક સેન્ટર સામે કોઇ વાંધો નથી પરંતુ યુનિક આઇ.ડી. નિયમ સામે વાંધો છે. કેમ કે તે મુજબ હોલમાર્ક કરવા માટે દરેક દાગીનાની રજીસ્ટરમાં નોંધ કરાવી, ફોટા પાડવા ફરજીયાત છે જે કળાકૂટ વાળું કામ છે અને ઘણા નાના વેપારીઓ પોતે શિક્ષિત ન હોય તેમજ શિક્ષિત માણસોને નોકરી પર રાખી શકે તેમ ન હોય અને આવા વેપારીઓથી કોઇ ટેકનિકલ ભૂલ થાય તો આ કાયદા મુજબ સુધી ધરપકડની જોગવાઇ છે તે અવ્યવહારુ છે જેથી તેનો વ્યવહારુ ઉકેલ લાવવાની અમારી માગણી છે.