સુરતઃ સોનગઢના ચાંપાવાડી ગામે આવેલા ફાટક પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની માંગ સાથે રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ફાટક પર બ્રિજ બનાવવાની માંગ અને એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજની માંગ હોવા છતાં કોઈ નિર્ણય ન આવતો હોવાથી રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોની સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યાં હતાં. રેલવે દ્વારા ખાત્રી અપાતા આંદોલન પ્રતિકાત્મક રીતે સમેટાયું હતું.
ટ્રેન રોકવામાં આવી
સોનગઢના ચાંપાવાડી ગામે આવેલ રેલવે ફાટક પર ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે યુવક કોંગ્રેસ દ્વારા રેલ રોકો આંદોલન થયું હતું. એમા મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં. અંદાજિત બે કલાક જેટલા સમય ચાલેલા આંદોલન દરમિયાન કાર્યકર્તાઓ રેલવે પાટા પર બેસી જઈ ટ્રેન વ્યવહાર અટકાવી દીધો હતો. આખરે મુંબઈથી આવેલા રેલવેના એડીઆરએમ અને અન્ય અધિકારીઓએ એકાદ માસમાં ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની દિશામાં કામગીરી કરવાની ખાત્રી આપતા આંદોલનકારીઓ દ્વારા પ્રતિકાત્મકત રીતે એક ગુડ્સ ટ્રેનને રોકી બાદમાં આંદોલન સમેટયું હતું.
ટ્રેન વ્યવહારને અસર
આ મુદ્દે જિલ્લા કલકટરે આંદોલન કારીઓ નેતાઓને અને રેલવે તથા હાઇ વે ઓથોરિટીના પ્રતિનિધિઓની એક બેઠક બપોર બાદ વ્યારા રાખીને ચર્ચા કરી છે.ફ્લાય ઓવર બ્રિજની માંગણીની સાથો સાથ ઉકાઈ સોનગઢ સ્ટેશને એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ અંગેની માંગણી બાબતે પણ રેલવે તંત્ર દ્વારા વિચારણા કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. સવારે 9.30 કલાકે શરૂ થયેલ આંદોલનના પગલે પાંચ જેટલી પેસેન્જર ટ્રેન જુદા જુદા સ્ટેશને રોકવામાં આવી હતી જે 11.30 બાદ ધીરે ધીરે રવાના કરવામાં આવી હતી.