રાજકોટ : જેતપુરની જીઆઇડીસીમાં આવેલા પટેલ ડાઇંગ નામના સાડીના કારખાનામાં કામ કરતા રાજુ લોધી નામના મજૂરે આપઘાત કરી લીધો હતો. આજે વહેલી સવારે કારખાનામાં વૃક્ષની ડાળીએ દોરડું બાંધી ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી. રાજુ મૂળ ઉત્તરપ્રદેશના બલીયા ગામનો વતની હતો. તે એકલો જ અહીં રહેતો અને પરિવાર ઉત્તરપ્રદેશ રહે છે. સાથી મજૂરે આક્ષેપ કર્યો હતો કે, લોકડાઉનને કારણે વતન જવા ન મળતા હતાશમાં આવી આ પગલું ભર્યું છે.
1600 સાડીના કારખાનામાં 20 હજાર જેટલા મજૂરો કામ કરે છે
ઔદ્યોગીક શહેર જેતપુરમાં 1600 જેટલા સાડીઓના કારખાનાઓમાં લગબગ 15થી 20 હજાર જેટલા પરપ્રાંતીય મજૂરો મજુરી કામ કરે છે. જેમાં સરકારે લોકડાઉન જાહેર કરતા આ બધા મજૂરો અહીં વતનથી જોજનો દૂર ફસાય ગયાનો અનુભવ કરી રહ્યા છે. લોકડાઉનને આજે લગભગ 45 દિવસ જેટલો સમય વીતી ગયો અને આટલા સમયમાં આ પરપ્રાંતીય મજૂરોને કારખાનાના માલિકોએ ફક્ત એક જ વખત પાંચ કિલો જેટલું અનાજ, કરીયાણું આપ્યું છે. જેથી ભૂખ અને પતરાની ઓરડીઓમાં આકરી ગરમીમાં મજૂરો શેકાય રહ્યા છે. મજૂરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને હવે લોકડાઉન ત્રીજા તબક્કામાં પહોંચ્યું છે ત્યારે આ મજૂરો હવે વતન જવા સિવાય બીજી કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી.