રાજકોટના કાલાવડ રોડ પર દિલ્હી પબ્લીક સ્કૂલ સામે વેજાગામથી વાજડી ગામ જવાના કાચા રસ્તા પર એક કૂવામાંથી એક જ પરિવારના બે ભાઇ અને એક બહેનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક ત્રણેય કૌટુંબિક ભાઇ-બહેન થાય છે. ત્રણેયે એક જ બાઇકમાં આવી કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યાની શંકા પોલીસની પ્રાથમિક તપાસમાં વ્યક્ત કરવામાં આવી છે. તેમજ પ્રેમસંબંધની પણ ચર્ચા થઇ રહી છે. હાલ પોલીસે ત્રણેયના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ફાયરબ્રિગેડે ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા
વેજાગામ વાજડીમાં દિલ્હી પબ્લીક સ્કૂલ સામેના કાચા રસ્તે આવેલા ખરાબાના કૂવામાં એક યુવતી અને બે યુવાન પડી ગયાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.એસ. ચાવડા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે ત્રણેયને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્રણેયના મૃતદેહ જ હાથ આવ્યા હતાં. પોલીસ તપાસમાં મૃતકોના નામ કવા પબાભાઇ બાંભવા (ઉં.વ.17), ડાયા પ્રભાતભાઇ બાંભવા (ઉં.વ.17) અને પમી હેમાભાઇ બાંભવા (ઉં.વ.19) હોવાનું ખુલ્યું હતું.
ત્રણેય ગઇકાલે સાંજથી ઘરેથી નીકળી ગયા હતાં
આ ત્રણેય પૈકીના બે માધાપર દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે રહેતાં હોવાનું અને એક રેલનગરમાં રહેતાં હોવાનું ખુલ્યું છે. આ ત્રણેય ગઇકાલે સાંજથી ઘરેથી નીકળી ગયા હતાં. આ ત્રણેય કૌટુંબિક ભાઇ-બહેન હોવાનું અને એક જ બાઇક પર આવી કૂવામાં કૂદી આપઘાત કરી લીધાની શંકા પ્રાથમિક તપાસમાં વ્યક્ત કરવામાં આવી છે. ભરવાડ પરિવારના આ ભાઇઓ અને બહેને આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પૂછપરછ કરવા પોલીસે ત્રણેયના માતા-પિતાને સિવિલ બોલાવ્યા
આ તરફ ફાયરબ્રિગેડને માહિતી મળતા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા કાલાવડ રોડ ફાયર સ્ટેશન પરથી શબવાહિની મોકલવામાં આવી હતી. યુનિર્સિટી પોલીસે સ્થળ પર પંચનામુ અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. જોકે આપઘાત કરવા પાછળનું કારણ સામે ન આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ બે સગીર અને યુવતીના મોતથી ભરવાડ પરિવારમાં શોક છવાયો છે. ભરવાડ પરિવારના ત્રણ સંતાનોના મોતથી ત્રણેયના પરિવારને પોલીસે તુરંત સિવિલ હોસ્પિટલ બોલાવી આપઘાત અંગેનું કારણ જાણવા પૂછપરછ કરવામાં આવી રહી છે.
એક મહિના પહેલા રાજકોટમાં સામુહિક આપઘાતની ઘટના બની હતી
શહેરમાં એક મહિના પહેલા નાનામવા રોડ નજીક રહેતા 45 વર્ષીય કમલેશભાઈ રામકૃષ્ણભાઈ લાંબડિયાએ તેની પુત્રી કૃપાલીબેન અને પુત્ર અંકિતને કોરોનાની દવા હોવાનું કહી ઝેરી દવા પીવડાવી હતી. સાથે જ પોતે પણ આ દવા પીધી હતી. જોકે પત્નીને ઉલ્ટી થતા તેણે ભલે કોરોના થતો તેમ કહી આ દવા પીવાનું ટાળ્યું હતું. ઘટનાને લઈ પિતા-પુત્ર અને પુત્રીની તબિયત લથડતા ત્રણેયને સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન ત્રણેયના મોત નીપજ્યા હતા.