પેગાસસ જાસૂસી વિવાદને લઈને દેશમાં રાજકીય ભુકંપ આવ્યો છે. ઇઝરાઇલના સ્પાયવેર પેગાસસ દ્વારા કાર્યકરો, રાજકારણીઓ, પત્રકારો અને બંધારણીય પદો પર બેઠેલા અધિકારીઓ પર કથિત જાસૂસી કરાતી હોવાનું બહાર આવ્યાં બાદ વિપક્ષો સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
ચોમાસું સત્રમાં પણ આ મુદ્દે ભારે જોરદાર હોબાળો મચ્યો છે. જ્યારે હવે આ મુદ્દે, રાજ્યસભાનાં સાંસદ જોન બ્રિટ્ટાસે સુપ્રીમ કોર્ટમાં પિટિસસ દાખલ કરીને એસઆઈટી તપાસની માંગ કરી છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટના એડવોકેટ મોહન લાલ શર્મા પણ એસઆઈટી તપાસની માંગ માટે અરજી દાખલ કરી ચુક્યા છે.
ઇઝરાઇલી સ્પાયવેર પેગાસસ દ્વારા કાર્યકરો, રાજકારણીઓ, પત્રકારો અને બંધારણીય પદાધિકારીઓની જાસૂસી મામલે કોર્ટની દેખરેખ હેઠળ તપાસની વિનંતી કરતાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્ક્સવાદી (સીપીઆઈ-એમ) નેતા અને રાજ્યસભાના સાંસદ જ્હોન બ્રિટ્ટાસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
સીપીઆઈ (એમ) ના નેતા બ્રિટ્ટાસે, કે જેમણે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે, તેમણે જણાવ્યું કે જાસૂસીના તાજેતરના આક્ષેપોથી ભારતના વિશાળ વર્ગમાં ચિંતા ઉભી કરી છે અને આ જાસૂસી કાંડથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ઉંડી અસર પડશે. તેમણે પેગાસસ સ્પાયવેર દ્વારા જાસૂસી કરાવવાના આરોપો અંગે કોર્ટની દેખરેખ હેઠળ તપાસ માટે વિનંતી કરી છે.
બ્રિટાસે રવિવારે એ દાવો પણ કર્યો કે આ આરોપો બે નિષ્કર્ષ તરફ દોરી જાય છે, સરકાર દ્વારા જાસૂસી અથવા તો વિદેશી દ્વારા. તેમણે કહ્યું કે જો સરકાર દ્વારા કરવામાં આવ્યું હોત તો તે અનધિકૃત રીતે કરવામાં આવ્યું હતું. અને જો કોઈ વિદેશી એજન્સી દ્વારા જાસૂસી કરવામાં આવે છે તો તે બહારની દખલની બાબત છે અને તેના પર ગંભીરતાથી કાર્યવાહી કરવાની જરૂર છે.