સુરત એરપોર્ટ સામે આવેલા માતાજીના પૌરાણિક મંદિરની મૂર્તિ એરપોર્ટ ઓથોરિટી દ્વારા હટાવાઈ હોવાના આક્ષેપો સાથે ગામના લોકો દ્વારા એરપોર્ટ બહાર ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો.
સુરત એરપોર્ટ પર આજે ડુમસના ગ્રામજનોએ ટ્રાફિક જામ કર્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા 125 વર્ષ જૂના માતાજીના મંદિરમાંથી માતાજીની પ્રતિમા રાતોરાત ખસેડી લેવામાં આક્ષેપ સાથે નારાજ ગ્રામજનો મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. પ્રતિમાને પરત મૂકવાની માંગણીને લઈ હોબાળો મચાવ્યો હતો. સવારે જ્યારે ભક્તો પૂજા માટે મંદિરે પહોંચ્યા ત્યારે ત્યાં પ્રતિમા જ નહીં દેખાતા તેઓ રોષે ભરાયા હતા અને પુનઃસ્થાપનાની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.
સાથે જ ડુમસ એરપોર્ટ રોડ પરના ટ્રાફિકને રોકવા રસ્તા વચ્ચે ઉભા રહી ગયા હતા. જેના પગલે પોલીસ દોડી આવી હતી. જો કે કલાકોની સમજાવટ બાદ ગ્રામજનો રસ્તા પરથી હટ્યા હતા.
ગામના રહીશોના કહેવા મુજબ, મંદિરની પ્રતિમા ખસેડવા પહેલાં અમને વિશ્વાસમાં લેવાનું કહેવાયું હતું. મંજૂરી વિના પ્રતિમા નહીં ખસેડાય તેવું વચન આપવામાં આવ્યું હતું. તેમ છતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા રાતના અંધારામાં માતાજીની પ્રતિમા ખસેડી લઈ વિશ્વાસઘાત કરાયો છે.