- ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં સ્થાનિક લોકોએ પહોંચી વિરોધ નોંધાવ્યો
સુરત જિલ્લાના કુડસદ ગામે પ્રચાર કરવા ગયેલા ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલનો ગામ લોકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકો દ્વારા મુકેશ પટેલ નો વિરોધ ગામમાં ખોદાયેલા તળાવને લઈને કરવામાં આવ્યો હતો. ગામના ટાઉનહોલમાં ભારતીય જનતા પાર્ટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શરૂ થતા થયા બાદ સ્થાનિક લોકો કાર્યક્રમ સ્થળ પર પહોંચીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેથી કાર્યક્રમ સ્થળેથી મુકેશ પટેલે નીકળી જવાનું મુનાસીબ માન્યું હતું.
ખોદાયેલા તળાવની માટી બીજા સ્થળ લઈ જવાના આક્ષેપ
સ્થાનિક લોકોનો વિરોધ હતો કે પોતાના ગામની અંદર ખોદાયેલા તળાવની માટી બીજા સ્થળ ઉપર કેમ લઈ જવામાં આવી હતી. અંદાજે 15 ફૂટ કરતાં વધારે ઊંડું તળાવ ખોદવામાં આવ્યું હતું. નિયમ મુજબ જે ગામમાં તળાવ ખોદવામાં આવે તેની માટી ગામમાં રહેવી જોઈએ અન્ય જગ્યાઓ પર તેને લઈ શકાતી નથી. આ નિયમનું સંપૂર્ણ રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેને લઇને ગામલોકો દ્વારા સરકારી અધિકારીઓને અને ધારાસભ્યોને વારંવાર રજૂઆત કરી હતી. પરંતુ તે બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નહીં.
ખોટી રજૂઆત કરી રહ્યા હોવાનું કહેતા મામલો બીચક્યો
ગામ લોકોનો ઉગ્ર વિરોધ થતાં ધારાસભ્ય મુકેશ પટેલ પોતે વિરોધ કરવા આવેલા વ્યક્તિઓને ખોટી રજૂઆત કરી રહ્યા છે એ પ્રકારની વાત કરતાં મામલો વધુ બીચક્યો હતો. વિરોધ કરેલા સ્થાનિક લોકો ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલનો ઉગ્ર વિરોધ કરી ગામ સાથે અન્યાય કરતા હોવાની વાત કરી હતી. તળાવ ખોદવા દરમિયાન જે માટે નીકળી હતી તે કોના ઇશારે અન્ય સ્થળો ઉપર લઈ જવાય છે.તેની કેમ તપાસ કરવામાં આવી નથી એ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ સ્થળેથી મુકેશ પટેલે નીકળી જવાનું મુનાસીબ માન્યું
મુકેશ પટેલ અને સ્થાનિક લોકો વચ્ચે ભારે શાબ્દિક ટપાટપી થઈ હતી. કૂવા તળાવ ખોદવાને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર ઉપર અને ધારાસભ્યો ઉપર લગાવ્યા હતા.જેને લઈને ધારાસભ્ય મુકેશ પટેલે પણ સ્થાનિક લોકોની સામે શાબ્દિક પ્રહારો કરવાનું ચાલુ રાખ્યું હતું. આ મામલો વધુ વણસી જતા કાર્યક્રમ સ્થળેથી મુકેશ પટેલે નીકળી જવાનું મુનાસીબ માન્યું હતું.