સુરતમાં શાકભાજીના એક વિક્રેતાનો કોરોના રિપોર્ટ એક જગ્યા પર પોઝિટિવ અને બીજી જગ્યા પર નેગેટિવ આવતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ અલગ અલગ બે હેલ્થ સેન્ટર પર અલગ અલગ રિપોર્ટ આવ્યા બાદ પાલિકાના હેલ્થ સેન્ટરોમાં ચાલતી લાલીયાવાડી ખુલ્લી પડી ગઈ છે. દેવેન્દ્ર નામના શાકભાજીના વિક્રેતાએ આખરે આ બાબતે ન્યાયની પુકાર લગાડી પાલિકા કમિશનરને જગાડવાનો પ્રયાસ કર્યો છે.
બેજવાબદાર સામે પગલાં ભરાવવા જોઈએ
આરતી પટેલ (સામાજિક કાર્યકર્તા) એ જણાવ્યું હતું કે આ ખૂબ દુઃખદ કહેવાય, એક બાજુ આખો દેશ માહામારી સામે ઝઝુમી રહ્યો છે, વડાપ્રધાન મોદી વેક્સિન માટે લોકોને જાગૃત કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં રેપિડ ટેસ્ટ રિપોર્ટમાં લોલમલોલ ચાલી રહી છે. માત્ર 25 મિનિટના સમયમાં જ અમરોલી અને છાપરાભાઠા હેલ્થ સેન્ટરની લાલીયાવાડી બહાર આવી છે. ચોક્કસ બેજવાબદાર સામે પગલાં ભરાવવા જોઈએ.
પોઝિટિવ આવતા પરિવારમાં ડરનો માહોલ હતો
વધુમાં જણાવ્યું હતું કે શુક્રવારની સવારે અમરોલી માનસરોવર શાક માર્કેટમાં વેપાર કરતા જીતેન્દ્ર દેવરેને પાલિકાના કર્મચારીઓએ રિપોર્ટ કઢાવવા સમજણ આપી હતી. જેને લઈ જીતેન્દ્ર નજીકના અમરોલી હેલ્થ સેન્ટર પર રેપિડ ટેસ્ટ રિપોર્ટ કઢાવવા ગયો હતો. બસ માસ્ક નીચે કરતા ફરજ પર હાજર એક મહિલા કર્મચારી ભડકી ગઈ હતી અને કહ્યું હતું અબ તુજે મેં કોવિડ મેં હી ડાલતી હું, માસ્ક ક્યું નીચે કિયા કહી ધમકી આપી હતી. ત્યારબાદ રિપોર્ટ પોઝિટિવ આવતા 14 દિવસ માટે હોમ કોરોન્ટાઇન થઈ જવા જણાવ્યું હતું. જેને લઈ પરિવારમાં ડરનો માહોલ ઉભો થઇ ગયો હતો.
લોકો સાથે રમત રમાતી હોવાનો આક્ષેપ
વધુમાં જણાવ્યું હતું કે, જીતેન્દ્ર આ ઘટના મને કહી એટલે મેં તેને તાત્કાલિક છપરાભાઠા હેલ્થ સેન્ટર પર મોકલી રિપોર્ટ કઢાવતા એ નેગેટિવ આવ્યો હતો. 25 મિનિટના સમયમાં જ કઢાવેલો બીજો રિપોર્ટ નેગેટિવ આવતા હેલ્થ સેન્ટર પર રિપોર્ટ કઢાવવા આવતા લોકો સાથે રમત રમાતી હોય એમ લાગે છે. જોકે, હાલ જીતેન્દ્રભાઈ માનસિક તણાવમાંથી બહાર આવી ગયા છે અને આરામ કરી રહ્યા છે.