જેઠાણીના ત્રાસથી કંટાળી 2 સંતાનો સાથે આપઘાત કરવા નીકળેલી વેપારીની પત્નીને પોલીસે બચાવી લીધી હતી. પીસીઆરને કોલ મળતા ટીમે માત્ર 4 મિનિટમાં જ હોપપુલ પર પહોંચી પરિણીતાને આત્મહત્યા કરતી અટકાવી હતી અને સમજાવી પતિ સાથે ઘરે રવાના કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પરવત પાટિયા વિસ્તારમાં રહેતી મોહિની( નામ બદલ્યું છે) સંયુક્ત પરિવારમાં રહે છે. પતિ કપડાનો વેપાર કરે છે. બુધવારે તેનો પતિ ઘરે ન હતો ત્યારે તેણીએ પતિને ફોન કરીને સંતાનો સાથે મરવા જાઉું છું કહીને નીકળી ગઈ હતી.
પતિએ બપોરે 3.35 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા કંટ્રોલ રૂમે પરવત પાટિયા વિસ્તારની આજુબાજુના તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરીને મહિલાને શોધવાની સૂચના આપી હતી. ત્યારબાદ 4.20 વાગ્યે કંટ્રોલરૂમને કોલ આવ્યો કે, હોપ પુલ પર એક મહિલા બે સંતાનો સાથે ઉભી છે અને શંકાસ્પદ છે. જેથી કંટ્રોલ રૂમે રાંદેર પોલીસને જાણ કરી હતી. રાંદેર પોલીસ સ્ટેશનની પીસીઆર માત્ર ચાર મિનિટમાં હોપ પુલ પર પહોંચી ગઈ હતી જ્યાં મોહિની તેના બે સંતાનો સાથે મળી આવી હતી.
ત્યારબાદ પીસીઆર મહિલાને રાંદેર પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી. જ્યાં તેણીના પતિને પણ બોલાવવામાં આવ્યો હતો. મહિલા પોલીસે મોહિનીનું કાઉન્સેલિંગ કર્યું હતું. મોહિનીએ પોલીસને જણાવ્યું હતું કે, તેની જેઠાણી તેને હેરાન કરે છે. જેઠાણીથી ત્રાસીને તે આત્મહત્યા કરવા નીકળી હતી. પોલીસ અધિકારીઓએ તેને સમજાવી તેનું કાઉન્સેલિંગ કરીને ભવિષ્યમાં કોઈ સમસ્યા હોય તો પોલીસની મદદ લેવાનું કહી પતિ સાથે ઘરે રવાના કરી હતી.