સુરતઃઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કુબેરજી ગ્રુપ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યાં છે. વહેલી સવારથી કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલ, રાજેશ પોદ્દાર સહિત તમામ ભાગીદારોને ત્યાં અને તેમના સંબંધીઓને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે.
ઘર, ઓફિસ સહિતની સ્થળે સર્વે
ઈન્કમ ટેક્સના અધિકારીઓ દ્વારા વહેલી સવારથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે કુબેરજી ગ્રુપના માલિક અને ભાગીદારોના ઘર,ઓફિસ અને કન્ટ્રક્શન સાઈટ પર પહોંચેલી આઈટીની ટીમે અંદાજે પોણા સાત વાગ્યાથી સર્વેની કામગીરી હાથ ધરી હતી. આ સર્વેમાં આઈટીને બેનામી નાણું હાથ લાગે તેવી આશંકા સેવવામાં આવી રહી છે.
25થી વધુ અધિકારીઓ જોડાયા
અમદાવાદ, વડોદરા અને સુરતના 25 થી 30 અધિકારીઓના કાફલાએ કાર્યવાહી શરૂ કરી હતી. તાજેતરમાં જ થયેલા જમીનના સોદાને લઇને આ સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુબેરજી બિલ્ડર જૂથની ઓફિસો, સાઇટ અને રહેણાંક વિસ્તારોમાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન મોટી બેનંબરી આવક મળી આવે તેવી શક્યતા છે.
અમદાવાદ બાદ સુરતમાં ITનો સપાટો
ઇન્કમ ટેક્સ વિભાગમાં ઘણા સમય બાદ સળવળાટ શરૂ થયો છે. આયકર વિભાગનો જે ટારગેટ છે તે પૂરો નહીં થતા ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાર દિવસ પહેલા અમદાવાદના બિલ્ડર જૂથો પર ઇનકમ ટેક્સ વિભાગે કાર્યવાહી કરી હતી અને કરોડોની રોકડ તેમજ દાગીના અને દસ્તાવેજો જપ્ત કર્યા હતા. અમદાવાદ પછી ગુરૂવારે સવારે સુરતના બિલ્ડર જૂથો પર કરેલી કાર્યવાહી શરૂ થઈ છે.