સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વખતપર ગામથી આગળ રાજકોટ તરફ જતી ખાનગી લક્ઝરી બસનું ટાયર પંક્ચર થયું હતું. જેથી આ કંપનીની પાછળ રહેલી લક્ઝરી મદદ માટે આ લક્ઝરી પાછળ ઉભી હતી અને મુસાફરો નીચે ઉતરીને ઉભા રહ્યાં હતા અને લક્ઝરીનું ટાયર બદલવાનું કામ થઇ રહ્યું હતું.
એ દરમિયાન પૂરઝડપે પાછળથી આવતા ટ્રક ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં તેનો પાછળ ઉભેલી લક્ઝરી બસ સાથે અકસ્માત થયો હતો. તેમજ પાછળની લક્ઝરી સાથે થયેલા અકસ્માતને કારણે ટાયર બદલાવી રહેલી આગળની લક્ઝરી સાથે ટ્રિપલ અકસ્માત થયો હતો. જેમાં 2 લક્ઝરી વચ્ચે ઉભેલા અમદાવાદના અલ્પેશભાઈ જીવરાજભાઈ સાંગાણી બંને લક્ઝરી બસ વચ્ચે ફસાઇ જતાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું.
જ્યારે ટાયર બદલાવી રહેલા જાડેજા અનિલસિંહને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા. આ અકસ્માતની ઘટના બાબતની સાયલા પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને લાશને સાયલા દવાખાને પીએમ માટે મોકલી આપી હતી. આ બાબતે સાયલા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.