દેશભરમાં નવરાત્રિના નવ દિવસ નવદુર્ગા માતાજીની આરાધના કર્યા બાદ દશેરાએ આસુરી વૃતિનો નાશ કરી રાવણ દહન કરવામાં આવે છે. પરંતુ સુરેન્દ્રનગર જીલ્લાના ચૂડા તાલુકાના ભગૃપુર ગામમાં 69 વર્ષ જૂની પરંપરા મુજબ દશેરાએ નહીં પરંતુ નોમના દિવસે રાવણ વધ કરવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ભગૃપુર ગામે નવરાત્રિમાં સાતમના નોરતે અંબે માતાજીના આશિર્વાદ મેળવી ભવાઇ રમવાની શરૂઆત કરવામાં આવે છે. આઠમની સવાર સુધી 35થી વધુ લોકો વિવિધ વેશભૂષા અને અલગ-અલગ કીરદારમાં ભવાઇ રમી માતાજીની ભક્તિ કરે છે. નવમાં નોરતે સવારે ગ્રામજનો રાજપૂત ફળીની ગરબીમાં એકઠા થાય છે. ગામમાંથી એક વ્યક્તિને રાવણ જ્યારે એક વ્યક્તિને રામ બનાવવામાં આવે છે.
રાવણનો વેશ ધારણ કરેલ વ્યક્તિને બંને હાથમાં વાંસનો ધોકો આપવામાં આવે છે. જે લોકો બીમારીથી પીડાતા હોય તેવા લોકો રાવણ પાસે જાય છે. રાવણ તે વ્યક્તિને વાંસનો ધોકો બરડામાં ફટકારે છે. 69 વર્ષ જૂની પરંપરા મુજબ રામના હાથે રાવણનો વધ કરવામાં આવે છે. રાવણ સંહાર બાદ ગ્રામજનો રાવણની શોક વિધિ પણ કરે છે.
1952માં પ્લેગથી અનેકે જીવ ગુમાવ્યા હતા
આ અંગે ગામના બલભદ્રસિંહ રાણાએ જણાવ્યું કે, 1952ની સાલમાં અમારા ગામમાં પ્લેગ નામની બિમારી ઘર કરી ગઇ હતી. જેના કારણે અનેક લોકો મોતને ભેટ્યાં હતા. ગામના ક્ષત્રિય યુવાને અંબે માતા પાસે જો પ્લેગનો રોગ ગામમાંથી જતો રહેશે તો દર વર્ષે નવરાત્રિમાં બે દિવસ ભવાઇ કરી નોમના દિવસે રાવણ વધ કરશે તેવી જીભ કચડી હતી. તે પછી અંબે માતાજીની કૃપાથી પ્લેગના કારણે ગામમાં એક પણ વ્યક્તિનું મોત થયું નહોતું. ત્યારથી લઇને અત્યાર સુધીમાં નવરાત્રિમાં બે દિવસ ભવાઇ અને નવમાં નોરતે રાવણવધની પરંપરા અકબંધ જળવાઇ રહી છે.