અમદાવાદના ચાંદલોડિયામાં રહેતી સગીર પ્રેમિકાને અન્ય યુવક સાથે અફેર હોવાની આશંકા રાખી ચાંદલોડિયાના પ્રેમીએ મળવા બોલાવી ગળુ દબાવીને તેની લાશ અડાલજ નર્મદા કેનાલ પાસે આવેલા તળાવમાં ફેંકી દીધા બાદ અડાલજ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ શરણાગતિ સ્વીકારી પોલીસ મથકે જઈને કેફિયત વર્ણવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ બનાવના પગલે પોલીસે સગીર પ્રેમિકાની લાશ તળાવમાંથી કઢાવી આરોપી પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે ફાયર બ્રિગેડને બોલાવી તળાવમાં શોધખોળ કરાવી હતી
અડાલજ પોલીસ મથકના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદના ચાંદલોડીયામાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા ફરિયાદીના પરિવારમાં સંતાનમાં ત્રણ દીકરી તથા એક દીકરો છે. સગીરવયની દીકરી ગત તારીખ 31 માર્ચના રોજ બપોરના સમયે બહેનપણીના ઘરે જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. મોડી સાંજ સુધી દીકરી ઘરે પરત ન આવતા ફરિયાદીએ અડાલજ પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા હતા સગીર કિશોરી અચાનક ગાયબ થઈ જતા અડાલજ પોલીસે તેની શોધખોળ આદરી હતી.
રાતના દસ વાગ્યે આરોપી પ્રેમી અડાલજ પોલીસ મથકે આવ્યો
તે દરમિયાન રાત્રિના દસ વાગ્યાના સુમારે આરોપી પ્રેમી અડાલજ પોલીસ મથકે આવી પહોંચ્યો હતો અને તેણે તેની પ્રેમિકાને અન્ય યુવક સાથે સંબંધ હોવાની આશંકા રાખી તેનું ગળુ દબાવીને ખૂન કરી લાશ અડાલજ કેનાલ પાસે આવેલા તળાવમાં ફેંકી દીધી હોવાની કેફિયત વર્ણવી હતી. અચાનક પોલીસ મથકે આવેલા યુવકની કથની સાંભળી પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો જેના પગલે અડાલજ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે એચ સિંધવ તાબડતોડ મોડી રાત્રે પોલીસ મથકે દોડી આવ્યા હતા.
રાત્રે શોધખોળ કરવા છતાં સગીરાની લાશ ના મળી
રાત્રે શોધખોળ કરવા છતાં સગીરાની લાશ ના મળી
ઘટનાની ગંભીરતા સમજી પોલીસ રાત્રે જ તળાવ ઉપર દોડી ગઈ હતી અને જ્યાં તપાસ કરતા તળાવમાં લેડીઝ ચંપલ તરતાં જોવા મળ્યા હતા. જેના પગલે પોલીસે ફાયર બ્રિગેડને બોલાવી તળાવમાં શોધખોળ કરાવી હતી, પરંતુ મોડી રાત થઈ ગઈ હોવાના કારણે કિશોરીની લાશ મળી આવી ન હતી. આજે સવારે ફરીવાર ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તળાવમાં શોધખોળ કરીને કિશોરીની લાશને બહાર કાઢી હતી. જ્યાં ફરિયાદી, તેના મોટાભાઈ તેમજ સાળાઓ સાથે દોડી આવ્યા હતા તેમણે લાશ ને જોતા જ પોતાની દીકરીઓ હોવાની ઓળખ કરી હતી.
લાશ તળાવમાં ફેંકી અને પ્રેમી પોલીસ સ્ટેશન પહોંચ્યો
પકડાઈ જવાની બીકે આરોપી પોલીસ સમક્ષ હાજર થયો
આ અંગે અડાલજ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે. એચ. સિંઘવે જણાવ્યું હતું કે, મૂળ રાજસ્થાન અને હાલ અમદાવાદના ચાંદલોડીયા અર્જુન આર્ટ જવેલર્સ ફેક્ટરીમાં રહેતો અને બગસરાના ઘરેણા બનાવવાની મજુરી કામ કરતો પ્રવીણ મગનભાઈ મારવાડીએ ગઈકાલે ચાર વાગ્યાના અરસામાં તેની સગીર વયની પ્રેમિકાને અડાલજ કેનાલ પાસે આવેલા તળાવ જોડે બોલાવી હતી. જ્યાં પ્રવીણ મારવાડીએ તેની પ્રેમિકાને બીજા સાથે સંબંધ હોવાની શંકા રાખી બોલાચાલી કરી હતી. બાદમાં તેણે સગીર પ્રેમિકાનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પકડાઈ ના જવાય તે માટે તેની લાશને તળાવના પાણીમાં ફેંકી દીધી હતી. જોકે, પકડાઈ જવાની બીકે ગઈકાલે રાત્રે જ પ્રવીણ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. તેના પરિવારના સભ્યો ગાંધીનગરના ધોળાકુવામાં આવેલા રામ વસાહત છાપરામાં રહી મજૂરી કામ કરે છે. જેના પગલે પ્રવીણની ધરપકડ કરી કિશોરીની લાશનું પેનલ ડોક્ટરો મારફતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હાલમાં યુવકની પૂછપરછ ચાલી રહી છે જે બાદ વધુ હકીકત પ્રકાશમાં આવશે.