5 જૂનથી ગુમ થયેલી સ્વીટી પટેલની તેના પોલીસ પતિ અજય દેસાઈ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. સી.આઈ.ડી ક્રાઈમની તપાસ દરમિયાન કેટલાક અન્ય ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. સ્વીટીના કેસમાં સૌકોઈને અત્યારે એક જ સવાલ થઈ રહ્યો છે કે તેના ગુમ થયા બાદથી તેનો બે વર્ષનો દીકરો અંશ હવે ક્યાં છે? 49 દિવસે સ્વીટીના ગુમ થયાનો કોયડો ઉકેલાયો હતો. જોકે તેના ગુમ થયા બાદથી જ દીકરો અંશ તેનાં મામા-મામી સાથે હતો, બાદમાં અજયે દીકરાની કસ્ટડી સંભાળી તેને પોતાની સાથે અમદાવાદ લઈ ગયો હતો. હવે અંશની કસ્ટડી પોતાની પાસે લેવા સ્વીટીના પિયરપક્ષોએ સવાલ ઉઠાવ્યા છે.
સ્વીટી પટેલના બે વર્ષના દીકરાની કસ્ટડી લેવા પિયરપક્ષનો પ્રયાસ
સ્વીટી પટેલની 4 જૂને હત્યા કરાઈ હતી. જોકે હત્યા બાદ PI અજય દેસાઈએ પત્ની ગુમ થઈ ગઈ હોવાનું નાટક ઊપજાવ્યું હતું. આ બાદ તે સ્વીટીને શોધવા પણ ઘરેથી નીકળ્યો હતો. એ દરમિયાન PI અજય દેસાઈએ 5 જૂને સાળાને ફોન કરીને દીકરો અંશ સ્વીટી વિના રહેતો ન હોઈ પોતાની સાથે લઈ જવા કહ્યું હતું. બાદમાં 29મી જૂને અજય દેસાઈએ સાળાને ફોન કરીને દીકરા સાથે બોલાવ્યો અને તેને અમદાવાદ પોતાની સાથે લઈ ગયો હતો. જ્યાં હાલમાં અંશ અમદાવાદમાં અજય દેસાઈની બહેન સાથે રહે છે. ત્યારે અંશની કસ્ટડી લેવા માટે સ્વીટીના પરિવારજનો તરફથી પ્રયાસો શરૂ કરાયા છે.
4 જૂનની રાતનો જોરદાર ઝઘડાએ સ્વીટીનો જીવ લઈ ગયો
નોંધનીય છે કે, 4 જૂનની રાત્રે સ્વીટી અને અજય દેસાઇ વચ્ચે લગ્ન સંબંધિત વાતને લઇ મોટો ઝઘડો થયો હતો, રાત્રે 12-30 વાગે પીઆઇ દેસાઇએ સ્વીટીનું ગળું દબાવી હત્યા કરી. બીજા દિવસે સવારે જાણે કંઇ ના બન્યું હોય તેમ સવારે 10.45 વાગે પોતાની કાળા કલરની કંપાસ જીપને ઘરના દરવાજા સુધી લાવી લાશ મૂકી હતી. પત્નીની હત્યા બાદ પીઆઇએ કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા કિરીટસિંહ જાડેજાની મદદ લીધી, સાંજે 4 વાગે કારને કરજણથી આમોદ અને વાગરા થઇને દહેજ હાઇવે પર અટાલી લઇ ગયા હતા, જ્યાં અવાવરૂ હોટલની પાછળ સ્વીટીની લાશને સળગાવી દીધી.
પરિવાર અમદાવાદના શાસ્ત્રીનગર પાસે રહે છે
અજય દેસાઈની દેખાતી હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલથી કોઈપણ વ્યક્તિ અંજાઈ જાય. તેની બોલવાની છટા અને વિવિધ વિષય પરનું જ્ઞાન કોઈપણ વ્યક્તિને આંજી દેવા માટે પૂરતું હતું. અજય દેસાઈ ખૂબ ગરીબ પરિવારમાંથી આવતો હતો. તેણે અમદાવાદના વાડજની ઝૂંપડપટ્ટીમાં પોતાનું બાળપણ વિતાવ્યું હતું. તે અને તેનાં ભાઈ-બહેન સરકારી શાળામાં ભણ્યો હતો. પોતાના કરિયરમાં તેણે ઘણાં સારાં પોસ્ટિંગ પર કામ કર્યું, જેમ કે તે અમદાવાદ જિલ્લા અને ગાંધીનગર જિલ્લામાં મહત્ત્વની જગ્યા પર કામ કરી ચૂક્યો છે. અજય દેસાઈની નજીકની ગણાતી વ્યક્તિના જણાવ્યા અનુસાર અજયનો પરિવાર હાલ અમદાવાદના શાસ્ત્રીનગર પાસે રહે છે.
સ્વીટીની ઓસ્ટ્રેલિયામાં રહેતા દીકરા સાથે રોજ વાત થતી
ઓસ્ટ્રેલિયાથી ટેલિફોનિક વાતચીતમાં અગાઉ સ્વીટીના પૂર્વ પતિ હેતાંસ પંડ્યાએ જણાવ્યું હતું કે સ્વીટી દરરોજ તેમના દીકરા રિધમ સાથે ફોન વાત કરતાં હતાં.અને સવારે ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના મેસેજો મોકલતાં હતાં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્વીટીની રિધમ સાથે ગત 4થી જૂનના રોજ વાત થઈ હતી. સ્વીટી અને હું સાતેક વર્ષ પૂર્વ છૂટા પડ્યાં હતાં, પરંતુ રિધમ સાથે તે નિયમિત સંપર્કમાં રહેતી હતી. ગત 4થી જૂનના રોજ રાત્રે મારા મોટા છોકરા રિધમની જોડે વાતચીત કરી ગુડ નાઈટનો મેસેજ મોકલ્યો હતો, પરંતુ બીજા દિવસે સવારે ગુડ મોર્નિંગનો મેસેજ ના આવતાં રિધમે મને પૂછ્યું હતું કે મમ્મીનો મેસેજ નથી આવ્યો.
4 જૂન બાદથી કોઈ ફોન કે મેસેજ નહોતો કર્યો
જેથી મેં રિધમને જણાવ્યું હતું કે મમ્મીનો મેસેજ થોડીવારમાં આવી જશે. તું ચિંતાના કર, બાદમાં ત્રણ દિવસ સુધી કોઈ રિધમના ફોનમાં સ્વીટીનો કોઈ ફોન કે મેસેજ આવ્યો ન હતો. એ બાબતે રિધમે મને જણાવ્યું હતું અને મને કહ્યું કે પપ્પા, મને ડર છે કે મમ્મી સાથે કદાચ કંઇક ખોટું તો નહીં થયું હોય ને. જેથી મેં તેને કહ્યું, તું ચિંતા ના કર, હું તારી મમ્મી સાથે વાત કરું છું. બાદમાં મેં સ્વીટીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ થઈ ના શક્યો, જેથી અંતે પણશોરામાં રહેતા સ્વીટીના ભાઇ સાથે અંગે વાત કરી ત્યારે ખબર પડી કે સ્વીટી કેટલાક દિવસથી ગુમ છે.