રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઆે જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભારત-બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે સાંજે 7 વાગ્યાથી રોમાંચક ટી-20 મુકાબલાનો પ્રારંભ થશે. જો કે વાવાઝોડાને પગલે વરસાદ પડવાની સંભાવના હોય તેના સંકટ વચ્ચે મેચ રમાશે. દિલ્હીના મેચમાં જીત હાંસલ કરી બાંગ્લાદેશની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહી છે તો સામી બાજુ ટીમ ઈન્ડિયા પણ મહેમાન ટીમને ભરી પીવા માટે આતૂર બની છે. આ માટે બન્ને ટીમોએ જોરદાર નેટ પ્રેિક્ટસ કરી જીતના ઈરાદા વ્યક્ત કરી દીધા હતા.
બીજી બાજુ રાજકોટમાં રમાયેલી ભારત-આેસ્ટ્રેલિયા અને ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ટી-20 મેચમાં જેવી પીચ બનાવાઈ હતી તેવી જ પીચ આવતીકાલના મેચમાં પણ બનાવવામાં આવે તેવી સંભાવના હોય રનોના ઢગલા થવાની શક્યતા છે. આવતીકાલે રાજકોટમાં 7 વાગ્યા બાદ ભેજનું પ્રમાણ વધુ રહેવાની આગાહી કરવામાં આવી હોય તેના કારણે બીજી બેટિંગ કરનારી ટીમને તકલીફ પડી જાય તેવી સંભાવના પણ છે. પ્રથમ ટી-20 મેચમાં ભારતના 148 રનના જવાબમાં બાંગ્લાદેશે છેવટ સુધી ફાઈટ કરીને અંતે મેચ જીતી લીધી હતી ત્યારે આવતીકાલના મેચમાં ભારત પ્રથમ મેચની ભૂલ ન દોહરાવાય તેના ઉપર ધ્યાન આપશે તો બાંગ્લાદેશ પ્રથમ મેચની જેમ જ યજમાન ટીમને હંફાવવા માટે મેદાને ઉતરશે. જો કે રાજકોટની પીચ અન્ય પીચ કરતાં સાવ અલગ હોય તેના ઉપર કોઈ પ્રકારનું અનુમાન લગાવવું મુશ્કેલ છે.
તેજસ શિશાંગીયા-ઉત્પલ જીવરાજાની લોકોને ઝુમાવશે
આવતીકાલે ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટી-20 મેચમાં ગાયક તેજસ શિશાંગીયા અને સંગીતકાર ડો.ઉત્પલ જીવરાજાની અને ડી.જે.અક્કી મેચ દરમિયાન વિવિધ ગીતોથી લોકોનો ઝુમાવશે. મેચ દરમિયાન ડી.જે.મ્યુઝીકમાં કુલ આઠ ગીત વગાડવામાં આવશે જેમાં સાવજ ગરજે, ડી.જે.ટીટોડા, કચ્છી ગીતો છલડો, ઉત્તર ગુજરાતી રમૂજી ગીત, બેવફા સોનુ, વિજુડી સહિતના ગીતોથી દર્શકોનું મનોરંજન કરશે.