તારક મહેતા કા ઉલ્ટા ચશ્માશોમાં વર્ષોથી બબીતા જીની ભૂમિકાથી ફેમસ થયેલી મુનમુન દત્તા વિવાદોમાં ફસાયેલી છે. મુનમુન દત્તાએ થોડા દિવસો પહેલાં જ પોતાના એક વીડિયોમાં આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેના કારણે તેને ટ્રોલ થવું પડ્યું હતું. તેમજ તેની સામે ઘણી ફરિયાદ પણ થઈ હતી.
વિવાદ થતા જ બબીતાએ વિડીયો હટાવ્યો હતો અને તેના માટે માફી પણ માંગી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર અભિનેત્રીની ઘણી ટીકા થઈ હતી. આટલું જ નહીં, તેની સામે FIRર નોંધવામાં આવી હતી. હવે શોના નિર્માતાઓએ આ ઘટનાથી પાઠ લીધો છે.
મેકર્સ દ્રારા લેવાયો આ નિર્ણય
આ ઘટના પછી મુનમુન જાહેરમાં માફી માંગી ચૂકી છે, પરંતુ હવે શોના નિર્માતાઓ આવી ઘટનાઓથી બચવા માટે વિશેષ રીત લઈને આવ્યા છે. હવે અંડરટેકિંગ પર શોના કલાકારો દ્વારા સહી કરાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન સર્જાય. રિપોર્ટના અનુસાર, અસિત મોદીનું માનવું છે કે મુનમુન દત્તાની માફી પછી પણ આ વિવાદ શાંત નથી થયો. જેના કારણે નિર્માતાઓ દ્વારા શોના કલાકારો પાસે અંડરટેકિંગ પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે જેથી તેઓ સોશિયલ મીડિયા પર કોઈ આપત્તિજનક શબ્દ, જાતિવાદી અથવા અપમાનજનક શબ્દનો ઉપયોગ ન કરે.
તે ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અસિત મોદી ઇચ્છે છે કે મુનમુન દત્તાનો ટ્રેક થોડા દિવસો માટે ન લખાય જેથી સેટ પર કોઈ વિવાદ ન થાય. એક મહિનાથી શોમાં બબીતાજી એટલે કે મુનમુન દત્તા જોવા નથી મળી રહી. તેના શો છોડવાના સમાચાર સામે આવી રહ્યાં છે. પરંતુ હવે આ મામલે શોના મેકર અસિત મોદીએ મોટો ખુલાસો કર્યો છે. અસિત મોદીએ કહ્યું કે, મુનમુન દત્તા હજી પણ આ શોનો ભાગ છે અને તે ક્યાંય નથી ગઈ. ઈટાઈમ્સ સાથે વાત કરતા નિર્માતા આસિત મોદીએ કહ્યું કે, મુનમુન દત્તા ‘તારક મહેતા’ માં બબીતાજીની ભૂમિકામાં શુટિંગ ચાલુ રાખશે. તેની શો છોડવાની વાત માત્ર અફવા છે. આ વાત આધારહીન અને ખોટા સમાચાર છે.