‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનો રોલ પ્લે કરનાર 75 વર્ષીય ઘનશ્યામ નાયક હાલમાં જ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને સાત સપ્ટેમ્બરના રોજ ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ચાર દિવસ પછી નટુકાકાએ ભોજન લીધું
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં નટુકાકાએ કહ્યું હતું, ‘હવે મને ઘણું સારું છે. હું મલાડની સૂચક હોસ્પિટલમાં દાખલ થયો છું. આજે મેં પહેલી જ વાર ભોજન લીધું હતું. મારું ઓપરેશન સોમવાર, સાત સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. પહેલા ત્રણ દિવસ બહુ જ તકલીફ પડી હતી પરંતુ હવે મને સારું છે.’
ગળામાં આઠ ગાંઠો હતી
ઘનશ્યામ નાયકે કહ્યું હતું, ‘ગળામાં આઠ ગાંઠો હતી અને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું હતું. મને સાચે જ ખબર નથી કે આટલી બધી ગાંઠો કેવી રીતે થઈ ગઈ? ગાંઠોનું હવે પરીક્ષણ કરવામાં આવશે. મને ભગવાન પર વિશ્વાસ છે, જે પણ કરશે તે સારું જ કરશે. ઓપરેશન અંદાજે ચાર કલાકની આસપાસ ચાલ્યું હતું.’
વધુમાં ઘનશ્યામ નાયકે કહ્યું હતું, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોએ ફોન કરીને મારા હાલચાલ પૂછ્યાં હતાં. તેઓ સેટ પર મારી આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જોકે, મને એક મહિના સુધી આરામ કરવાનું કહ્યું છે. તેથી હું નવરાત્રિ સુધી શૂટિંગ શરૂ કરી શકીશ નહીં.
દીકરી-દીકરો સંભાળ રાખી રહ્યાં છે
હોસ્પિટલમાં ઘનશ્યામ નાયકનો દીકરો તથા દીકરી તેમની સંભાળ રાખી રહ્યાં છે. ઘનશ્યામ નાયકે કહ્યું હતું કે તેમનો દીકરો રાત્રે આવે છે અને આખો દિવસ દીકરી તેમની સાથે રહે છે. ડૉક્ટર્સની ટીમ સતત તેમની દેખરેખ રાખે છે.
શોમાં કામ કરતાં 12 વર્ષ થયા
ઘનશ્યામ નાયકે શો સાથેની વાત કરતાં કહ્યું હતું કે આ શોમાં કામ કરે તેમને 12 વર્ષ પૂરા થશે. તેઓ સિરિયલની આખી ટીમ તથા કેરેક્ટર સાથે એકદમ જોડાઈ ગયા છે. આ શોના ત્રણ હજાર એપિસોડ પૂર્ણ થયા છે.