રાજયમાં વાવઝોડાની અસરના પગલે અમદાવાદ જિલ્લા અને શહેરમાં પણ ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં અત્યારે 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ શહેરમાં ભારે વરસાદ અને વાવઝોડાની અસર દેખાશે. મ્યુનિસિપલ મુકેશકુમારે અને જિલ્લા કલેક્ટર સંંદિપ સાગલેએ અમદાવાદીઓ અને જિલ્લાના લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સતત પવનની ગતિ વધી રહી છે. અમદાવાદ કલેક્ટરના જણાવ્યા મુજબ 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આગામી 5થી 8 કલાક અમદાવાદ જિલ્લા માટે અગત્યના
અમદાવાદ કલેકટર સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે, આગામી પાંચથી આઠ કલાક અમદાવાદ જિલ્લા માટે મહત્વના છે. અમદાવાદના લોકોને અપીલ કે ઘરની બહાર ન નીકળે. ભારે પવન અને વરસાદ થશે. માંડલ, ધોલેરા, ધંધુકા, વિરમગામમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 2 NDRF ટીમ છે, ધોલેરા અને ધંધુકામાં સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે. 35 જેટલા શેલ્ટર હોમની વ્યવસ્થા છે જેમાં લોકોને સ્થળાંતર કર્યા છે. કોવિડ હોસ્પિટલમાં તકલીફ ન પડે માટે PGVCL જાણ કરી છે. 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હાઈવે પર વાવાઝોડાના કારણે વિઝિબિલિટી ઘટી
અમદાવાદ – ગાંધીનગર હાઇવે પર તાઉ- તે વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. હાઇવે પર વિઝિબિલિટી ઘટી છે ,જેના કારણે વાહન ચાલકોએ વાહનોની લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. શહેરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાઇવે પર પણ તેવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ભારે પવનના કારણે હાઇવે પરના કેટલાક નાના વૃક્ષો પણ પડી ગયા હતા.
અમદાવાદમાં ગઈકાલ રાતથી સતત વરસાદ
‘તાઉ તે’ વાવાઝોડાના ગુજરાતમાં પ્રવેશ બાદ મોટા ભાગના જિલ્લાઓમાં મોડી રાતથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલ રાતથી સતત વરસાદ ચાલુ છે. શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદને પગલે પાણી તેમજ ગટરો ભરાઈ જવાનાં દૃ શ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે આજે પ્રતિ કલાક 60 કિલોમીટર સુધીની ઝડપના પવન ફૂંકાવાની અને 3થી માંડી 6 ઈંચ સુધી ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ, ધોળકા, લીબડી અને ધંધુકા જિલ્લામાં 65થી 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. આગામી બેથી ત્રણ કલાકમાં આ પવનની ગતિ વધશે. સાબરમતી નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.
બે-ત્રણ કલાક પછી તાઉ’તે વાવાઝોડું અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા
તાઉ’તે વાવાઝોડું આગામી 3-4 કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહારના નીકળવાના જિલ્લા કલેકટર તાકીદ કરી છે. લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ રહે તે જરૂરી છે. કોઈપણ સંભવિત આપત્તિના સમયે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે લોકોને અપીલ કરી છે.
અમદાવાદ જિલ્લાના 4524 લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડાયા
તાઉ’તે સંભવિત વાવાઝોડાથી સલામતીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના 4524 લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા આશ્રય સ્થાનોમાં કોરોનાની તમામ ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા, ધંધૂકા, સાણંદ, વિરમગામ અને ધંધૂકા તાલુકાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા છે.
લોકોને સુરક્ષિત રીતે અન્ય સ્થળોએ ખસેડાયા
તાઉ’તે સંભવિત વાવાઝોડા દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોલેરા, ઘંઘૂકા, સાણંદ, વિરમગામ અને ધોળકા તાલુકાના વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત ગામોના 4524 લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ ખસેડવામા આવ્યા હોવાનું અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.
વાવાઝોડાના પગલે કયા ઝોનમાં કેટલા ઝાડ પડ્યાં
ઝોન | પડેલ ઝાડ | નિકાલ | કામગીરી ચાલુ |
મધ્ય | 9 | 6 | 3 |
પશ્ચિમ | 9 | 7 | 2 |
પૂર્વ | 0 | 0 | 0 |
ઉત્તર | 0 | 0 | 0 |
દક્ષિણ | 6 | 3 | 3 |
ઉત્તર-પશ્ચિમ | 3 | 3 | 0 |
દક્ષિણ-પશ્ચિમ | 1 | 1 | 0 |
ધંધૂકા તાલુકાના 1123 લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિક કરાયા
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના 3046 વ્યક્તિઓ, ધંધૂકા તાલુકાના 1123, સાણંદના 8, વિરમગામના 321 અને ધોળકા તાલુકાના 116 લોકોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિક કરવામાં આવ્યા છે.
ઉક્ત તાલુકાઓમાં કાર્યરત કરવામાં આવેલા વિવિધ આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. વિગતે જોઇએ તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ૩૦૪૬ વ્યક્તિઓ, ધંધૂકા તાલુકાના 1123, સાણંદના 8, વિરમગામના 231 અને ધોળકા તાલુકાના 116 લોકોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિક કરવામાં આવ્યા છે.
સ્થળાંતર કરતા પહેલા તમામના રેપિડ ટેસ્ટ થશે
આ તમામ સ્થળાંતર કરાયેલ લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટીંગ કરાવવામાં આવે છે. આ ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ જ આશ્રય સ્થાનોમાં વ્યક્તિને આશ્રિત કરવામાં આવે છે. જો આ ટેસ્ટીંગ દરમિયાન કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ પોઝીટીવ જણાઇ આવે તો તેવા વ્યક્તિને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપવાની તજવીજ હાથ ધરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ,ગઇકાલે અમદાવાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સંભવિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ સમગ્રતયા પરિસ્થિતિનું જાત નિરિક્ષણ કર્યું હતું.
જિલ્લાનાં અસરગ્રસ્ત ક્ષેત્રોમાં ICU ઓન વ્હીલ્સ
અમદાવાદ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની તમામ અસરને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. કોઇપણ પ્રકારની આરોગ્ય કટોકટીનો સામનો કરવા અમદાવાદ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં 17 એમ્બ્યુલન્સ અને 2 આઇસીયુ ઓન વ્હીલ સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સનો કાફલો તેમજ ઈમર્જન્સી માટે જરૂરી તમામ સુવિધા તહેનાત કરી દેવામાં આવી છે.