વડોદરા નજીક હાઇવે ઉપર આવે જાંબુઆ બ્રિજ પાસે આજે વહેલી સવારે ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું સ્થળ પર મોત નિપજ્યું હતુ. ફાયર બ્રિગેડ દ્વારા ટેમ્પોમાં ફસાયેલા ડ્રાઇવરના મૃતદેહને પતરું કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવને પગલે હાઈવે ઉપર અમદાવાદથી સુરત અને સુરતથી અમદાવાદના માર્ગ ઉપર બે કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થઈ ગયો હતો. સતત ચાલુ રહેલા વરસાદને પગલે ફાયર બ્રિગેડને કામગીરી માટે ભારે મુશ્કેલી પડી હતી.
મળેલી માહિતી પ્રમાણે વહેલી સવારે જાંબુઆ બ્રિજ પાસે અમદાવાદથી સુરત તરફ જતા ટ્રકની પાછળ એક ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. જેમાં ટેમ્પો ડ્રાઇવર કેબીનમાં જ ફસાઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્પ્રેડરથી પતરું કાપીને ડ્રાઇવરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. અને લાશનો કબજો લઈને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
આ બનાવને પગલે અમદાવાદથી સુરત તરફ અને સુરતથી અમદાવાદ તરફ બે કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સતત વરસાદને કારણે કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ફાયર બ્રિગેડ દ્વારા અડધા કલાકમાં જ આ કામગીરી આટોપી લેવામાં આવી હતી. ટ્રાફિકના કારણે નોકરી ધંધાર્થે જનારા લોકો પર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં ટેમ્પો ચાલક સુરતના રેલ્વે સ્ટેશન પાસે આવેલ 28 ગોવર્ધન નગરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું અને તેનું નામ બાબાજી દાજભાઈ નાગપુરે હોવાનું જાણવા મળ્યું હતું. મકરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. એવી પણ માહિતી મળી છે કે આ બનાવને પગલે લગભગ બે કલાક સુધી હાઇવે ઉપર ચક્કાજામ રહ્યો હતો.