બેરુત: લેબનાનમાં આવેલા આતંકી સંગઠન હિઝબુલ્લાએ ચેતવણી આપી છે કે, જો અમેરિકાએ ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું તો ઈઝરાયલ તેમાંથી બાકાત નહીં રહે. સંગઠનના મુખિયા હસન નસરુલ્લાએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, ઈરાન યુદ્ધની સ્થિતિમાં સંપૂર્ણ તાકાત અને નિષ્ઠુરતાથી ઈઝરાયલ પર બોમ્બમારો કરશે.
નસરુલ્લાનું આ નિવેદન અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા વિવાદ પછી આવ્યું છે. હકીકતમાં તાજેતરમાં જ ખુલાસો થયો છે કે, ઈરાને તેમના પરમાણુ કાર્યક્રમને નક્કી કરેલી સીમા કરતા આગળ વધારી દીધો છે. તે વિશે અમેરિકા તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલાં ઈરાની સેનાએ અમેરિકાનું એક ડ્રોન તોડી પાડ્યું હતું. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ત્યારપછી ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાનો આદેશ આપ્યો હતો અને તે પછી પરત લઈ લેવામાં આવ્યો હતો.
નસરુલ્લાએ તેના ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, અમેરિકાને એવું લાગશે કે યુદ્ધના કારણે ઈઝરાયલ ખતમ થઈ જશે એટલે તેઓ આવું કોઈ પગલું લેતા પહેલાં વિચાર કરશે. આ અમારી જવાબદારી છે કે અમે અમેરિકાને ઈરાન પર હુમલો કરતા રોકીએ. હસને ચેતવણી આપતા કહ્યું છે કે, સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત ક્યારેય નહીં ઈચ્છે કે વિસ્તારમાં સંઘર્ષની સ્થિતિ ઉભી થાય.
ઈઝરાયલ સાથે યુદ્ધ કરી ચૂક્યો છે હિઝબુલ્લા
હિઝબુલ્લાને ઈરાન તરફથી સૈન્ય ટ્રેનિંગ, હથિયાર અને આર્થિક મદદ મળતી રહી છે. આ સિવાય સીરિયાની અસદ સરકાર પણ તેનું સમર્થન કરે છે. બીજી બાજુ ઈઝરાયલને બંને દેશો સાથે તણાવ છે. નેતન્યાહૂ સરકારનો આરોપ છે કે, ઈરાન તે સિવાય સીરિયાની જમીનનો ઉપયોગ કરે છે અને અસદ સરકાર તેને સંપૂર્ણ સુરક્ષા આપે છે.
જુલાઈ 2006માં હિઝબુલના સમર્થકોએ ઈઝરાયલ પર રોકેટથી હુમલો કર્યો હતો. આ હુમલામાં અમુક ઈઝરાયલના સૈનિક ઘાયલ થયા હતા અને આતંકી સમર્થકોએ તેમને બંધક બનાવી દીધા હતા. સંગઠનની માંગણી હતી કે સૈનિકોના બદલામાં ઈઝરાયલ લેબનાનના બંધકોને છોડશે. જોકે ઈઝરાયલે જવાબમાં લેબનાન પર એર સ્ટ્રાઈક કરી હતી. હુમલામાં અંદાજે 1200 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના સામાન્ય નાગરિક હતા. ઈઝરાયલના પણ 160 સૈનિકોના મોત થયા હતા.
લેબનાનમાં રાજકીય પ્રભાવવાળું સંગઠન છે હિઝબુલ્લા
હિઝબુલ્લાને અમેરિકા, યૂરોપિયન યૂનિયન, કેનેડા અને અન્ય ઘણાં દેશોએ આતંકી સંગઠનનો દરજ્જો આપ્યો છે. લેબનાનમાં આ સંગઠનનું એક રાજકીય દળ છે જેણે ગઈ વખતે ચૂંટણીમાં સંસદની 13 સીટ પર કબજો મેળવ્યો હતો. રાજકીય પ્રભાવના કારણે કેબિનેટમાં દળના 3 સભ્યો સામેલ છે. 11 ઓગસ્ટ 2006ના રોજ યુએન યુરક્ષા પરિષદે બને વચ્ચે સીઝફાયરની જાહેરાત કરી હતી. જોકે સીઝફાયર ખતમ થયા પછી ટેક્નીકલી ઈઝરાયલ અને લેબનાન બંને પર યુદ્ધની સ્થિતિ છે.