વડોદરાઃ વડોદરા ખાતે આવેલી ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા રાજ્યભરમાં આવેલી 23 જેલના ભોજન પર કરવામાં આવેલ પરીક્ષણના પરિણામો ગંભીર આવ્યા છે. ડો.હેમંત કોષિયાના જણાવ્યા પ્રમાણે જમવાનો અધિકાર માનવનો પ્રાથમિક અધિકાર છે. ગુણવત્તા સાથેનું જમવાનું મળે તે માટે ઓથોરિટી સક્રિય રીતે કામ કરી રહી છે. દેશમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યની ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા જેલમાં કેદીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. પરીક્ષણ બાદ રાજ્યની 15 જેલ ભોજનની ગુણવત્તા મામલે ફેલ થઇ છે.
23 જેલમાંથી લેવાયેલા 221 પૈકી 29 સેમ્પલ ફેલ
ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, અને સુરત ખાતે આવેલી જેલમાંથી કેદીઓને પીરસવામાં આવતા ભોજનના 221 નમૂના ગુણવત્તાની ચકાસણી કરવા માટે લીધા હતા. 221 નમૂનામાંથી 29 સેમ્પલ(13 ટકા) સેમ્પલ ચકાસણીમાં ફેલ થયા છે. જ્યારે 16 સેમ્પલ બિન આરોગ્યપ્રદ હોવાનું ટેસ્ટમાં ભાર આવ્યું હતું. અમરેલી અને ગાંધીધામ સબ જેલ ખાતેથી લેવામાં આવેલ સેમ્પલને બિન આરોગ્યપ્રદ જાહેર કરાયા હતા. અમરેલી સબ જેલના 4 સેમ્પલ અને ગાંધીધામ સબ જેલના 3 સેમ્પલના નમૂનાને બિન આરોગ્યપ્રદ જાહેર કરવામાં આવ્યા હતા.
સુરત સેન્ટ્રલ જેલના 12 નમૂનામાંથી 3 નમૂના પરીક્ષણમાં ફેલ
નવસારી અને અમરેલી જેલના સેમ્પલ ગુણવત્તાના મોટા ભાગના માપદંડમાં ફેલ સાબિત થયા છે. રાજ્યભરમાં આવેલી 4 સેન્ટ્રલ જેલમાંથી સુરત સેન્ટ્રલ જેલમાં કેદીઓને પીરસવામાં આવતા ભોજનનની ગુણવત્તા સૌથી ખરાબ હોવાનું તપાસમાં ભાર આવ્યું છે. સુરત સેન્ટ્રલ જેલના 12 નમૂનામાંથી 3 નમૂના પરીક્ષણમાં ફેલ થયા છે. રાજકોટ સેન્ટ્રલ જેલના 7 નમૂના પરીક્ષણમાં સફળતાથી પાસ થયા છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી 10 નમૂના અને અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી 16 નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા. જેમાંથી એક-એક નમૂના ફેલ થાય છે
ગોંડલ-1, સુરત-2, ભરૂચ-1 અને વડોદરા-1 નમૂના બિન આરોગ્યપ્રદ બહાર આવ્યા
દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં કેદીઓને આપવામાં આવ્યા ભોજનની ચકાસણી ગુજરાતમાં કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા ગુજરાતમાં આવેલી 23 જેલમાંથી 221 સેમ્પલ પરીક્ષણ માટે ભેગા કર્યાં હતા. જેમાં કાચો માલ અને તૈયાર જમવાનાનું સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું. 7-8 ટકા નમૂનાઓ પરીક્ષણમાં ફેલ થયા હતા. ગોંડલ-1, સુરત-2, ભરૂચ-1 અને વડોદરા-1 નમૂના બિન આરોગ્યપ્રદ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા સત્તાધીશોની જરૂરી મંજૂરી લીધા બાદ પરીક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.