ગુજરાતમાં ધોરણ-૯ અને ધોરણ-૧૧નું ઓફ્લાઇન શિક્ષણ શરૂ થઇ ગયું છે ત્યારે બાળકોને શાળાએ બોલાવતા પહેલા શાળાના સંચાલકોએ અત્યંત તકેદારી રાખવી પડશે તેમ અમદાવાદ મેડિકલ એસોસિયેશને જણાવ્યું છે.
એકતરફ રાજ્યમાં ૧૮ વર્ષથી નીચેની ઉંમરના લોકોનું રસીકરણ થયું નથી ત્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કૂલ-કોલેજમાં ઉમટશે તો પરિણામ ઘાતક રહેશે તેવું તબીબોનું માનવું છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશનના જોઇન્ટ સેક્રેટરી ડો. સાહિલ શાહે જણાવ્યું કે, ‘બાળકોને શાળાએ બોલાવતા પહેલા શાળાના સંચાલકોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે તેમનો સ્ટાફ વેક્સિનેટેડ થયો છે કે કેમ? શાળાના ક્લાસમાં બાળકોને ઓડ ઈવન પદ્ધથિથી બોલાવી સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેવી વ્યવસ્થા ગોઠવવી પડશે. બાળકો માસ્ક પહેરી રાખે તેની પણ તકેદારી જરૃરી છે. હાલમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત છે અને ત્યાં ઋતુગત બિમારીઓ પણ ચાલી રહી છે, જેના કારણે એક બાળકને કારણે બીજું બાળક સંક્રમિત થાય નહીં તેની પણ તકેદરી રાખવી પડશે.