મહેસાણાના રાજકારણના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી પોતાનું ધારાસભ્ય પદ છોડનાર વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા આખરે ભાજપમાં જોડાયા છે. તેમજ આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ભાજપમાંથી ચૂંટાનાર ડૉ.એ.કે.પટેલ પ્રથમ સંસદસભ્ય પણ હાજર રહ્યા હતા.
લાંબા સમયથી વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા ભાજપમાં જોડાવવા અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. વિજાપુરમાં ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમર્થકો મોટી સંખ્યામાં હાજરી અને સી. જે ચાવડાની સાથે કોંગ્રેસના 10 મોટા આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. જેમા વિજાપુર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નાથાલાલ પટેલ ભાજપમાં જોડાયા છે.
વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા ભાજપમાં જોડાયા બાદ જણાવ્યું કે, હું ક્યારેય નથી કહેતો કે કોંગ્રેસ ખરાબ છે. વર્તમાન સમયમાં વિકાસ થઇ રહ્યો છે તે જોતા હું ભાજપમાં જોડાયો છું. હાઇકમાન્ડ સાથે મારી કોઈ પદ બાબતે ચર્ચા થઈ નથી. પાર્ટી મારો જ્યાં ઉપયોગ કરે ત્યાં હું તૈયાર છું.
આ ઉપરાંત કોગ્રેસ પ્રદેશ મહામંત્રી વિજય પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા હર્ષદ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વિનોદ પટેલ, વિજાપુરના પૂર્વ તાલુકા પ્રમુખ ચંદનજી ઠાકોર, કોંગ્રેસ તાલુકા સમિતિના પ્રમુખ દિનેશજી ચૌહાણ, કોંગ્રેસ આગેવાન વિનોદ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ કેસરિયો ધારણ કર્યો છે. હાલ ચાલતી ચર્ચા મુજબ આગામી લોકસભાની ચૂંટણીમાં સી. જે. ચાવડાને લોકસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવી શકે છે.
ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડૉ. સી. જે. ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે.