મેંગલુરુથી દુબઈ જઈ રહેલી ઈન્ડિયોની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું હોવાની ઘટના સામે આવી છે. મેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયા બાદ અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. મળતા અહેવાલો મુજબ આ ઘટના સવારેલગભગ 8.30 વાગ્યાની આસપાસ બની હતી. ફ્લાઈટના એક પંખા સાથે પક્ષી ટકરાતા ફ્લાઈટ ઉડવા માટે બિલકુલ તૈયાર ન હતી. પાયલટે તુરંત એર ટ્રાફિક કંટ્રોલને સૂચના આપ્યા બાદ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ઘટના બન્યા બાદ 160 મુસાફરોને ફ્લાઈટમાંથી સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા છે. ઘટના બાદ થોડા સમય સુધી એરપોર્ટ પર અફરાતફરી જોવા મળી હતી.
જોકે મુસાફરો માટે અન્ય ફ્લાઈટની વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હતી. આ ફ્લાઈટ બેંગલુરુથી આવી હતી. હાલ ટેકનિશિયનો દ્વારા ગ્રાઉન્ડેડ થયેલ ફ્લાઈટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. MIAના અધિકારીઓએ જણાવ્યું કે, 6E 1467 IXE-DXB વિમાન ટેક્સીવેથી રન-વેમાં પ્રવેશ કરતા જ પક્ષી અથડાયું હતું, જે અંગે પાયલટે એટીસીને સૂચના આપી હતી. ઘટના બાદ તમામ મુસાફરોને તુરંત વિમાનથી ઉતારવામાં આવ્યા હતા. વિમાનના સંપૂર્ણ નિરિક્ષણ માટે ગ્રાઉન્ડેડ જાહેર કરી દેવાયું છે. ત્યારબાદ ઈન્ડિગોએ 160 મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી. આ તમામ મુસાફરોને દુબઈની ફ્લાઈટમાં સવારે 11.05 કલાકે રવાના કરાયા હતા.