ગાંધીનગર. ત્રણ દિવસ પહેલા એટલે કે શુક્રવારે ગાંધીનગર જિલ્લાના કલોલ પાસેના પલીયડ ગામે મંદિરનાં પાંચમા પાટોત્સવની ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડાવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટાભાગે ગ્રામજનો સામેલ થયા હતા અને કોઈએ માસ્ક પણ પહેર્યાં નહોતા. એટલું જ નહીં, ડીજે સાથે શોભાયાત્રા પણ નીકળી હતી. આ કાર્યક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો અને આજે જે થવાનો ડર હતો તે જ થયું છે. આજે પાટોત્સવમાં સામેલ એક પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કાર્યક્રમ બાદ 21 બ્રાહ્મણોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ જ્યારે 8નો નેગેટિવ અને 12ના રિપોર્ટ પેન્ડીગ છે. પૂજારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ પાટોત્સવમાં સામેલ થયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કાર્યક્રમના આયોજક વિજય પટેલ સહિત 21 લોકોની ધરપકડ થઈ હતી
આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ગાઈડલાઈનના ભંગ અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાના વીડિયો અને માહિતી મીડિયા અને સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ કલોલ તાલુકા પોલીસ દોડતી થઈ હતી અને કાર્યક્રમના આયોજક પલીયડ ગામના વિજય બળદેવ પટેલ સહિત 21 લોકોની ધરપકડ કરી હતી. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી- કર્મચારીઓને જાણ ન હોય તે વાત ગળે ઉતરે તેમ નથી. પોલીસને જાણ હોવા છતાં કાર્યક્રમ યોજાયો હતો કે કેમ તે અંગે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા. જેની તપાસ DySP અને પ્રાંત અધિકારીને સોંપાઈ છે.