કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું માનવું છે કે, કોંગ્રેસને પોતાની છબી સુધારવા માટે પૂર્ણકાલિન અધ્યક્ષ પસંદ કરવાની જરૂર છે. તેમણે રવિવારે જણાવ્યુ હતું કે, જનતાની વચ્ચે પાર્ટીની છબી દિશાહીન પક્ષ તરીકેની થઈ ગઈ છે. જેને તોડવા માટે પાર્ટીએ ફૂલ ટાઈમ અધ્યક્ષની જરૂર છે. થરૂરે એવું પણ કહ્યુ હતું કે, રાહુલ ગાંધીમાં તે માટે દમ અને કાબેલિયત છે કે તેઓ પાર્ટીને ફરી વખત લીડ કરી શકે. જો કે, રાહુલ ગાઁધી ફરી વખત અધ્યક્ષ બનવા માગતા ન હોય તો, નવા અધ્યક્ષની શોધ ચાલુ કરી દેવી જોઈએ.
સોનિયા પર બોઝ નાખવો યોગ્ય નથી
થરૂરે એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, સોનિયા ગાંધી છેલ્લા એક વર્ષથી વચ્ચગાળાના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. છેલ્લા 10 ઓગસ્ટથી તેઓ રાહુલ ગાંધીના રાજીનામા બાદ મજબૂરીમાં આ પદ સંભાળી રહ્યા છે. મને લાગે છે કે, પાર્ટીએ પોતાનું નેતૃત્વને લઈ સ્પષ્ટતા કરવી જોઈએ. હું સોનિયા ગાંધીની આ જવાબદારીને બિરદાવુ છું, પણ કાયમ માટે તેમના પર આ બોઝ નાખવો યોગ્ય નથી.
જલ્દીમાં જલ્દી નવા અધ્યક્ષની પસંદગી થાય
થરૂરે વધુમાં કહ્યુ હતું કે, આપણે જનતાની વચ્ચે બનેલી છબીને સુધારવી જોઈએ. કોંગ્રેસ ભટકી ગઈ છે અને રાષ્ટ્રીય સ્તરે વિપક્ષની ભૂમિકા અદા કરવામાં સક્ષમ નથી. પાર્ટીએ જલ્દીમાં જલ્દી લોકતાંત્રિક રીતે પૂર્ણકાલિન અધ્યક્ષની પસંદગી કરી લેવી જોઈએ. વિજેતા ઉમેદવારને એટલી તાકાત મળવી જોઈએ કે, તે પાર્ટીને સંગઠન સ્તર સુધી લઈ જાય.