વડોદરા જિલ્લા પ્રશાસનના ભાગરૂપે અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ શાખા કાર્યરત છે. તાજેતરમાં બે જુદી-જુદી ઘટનાઓમાં ખાણ અને ખનીજ શાખાએ સાદી માટી અને રેતી ખનીજનું બિન અધિકૃત ખનન અને વહન અટકાવીને સતર્કતા સાથે સરકારી તિજોરીને નુકસાન થતું અટકાવ્યું છે અને 1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પગલાથી ખનીજનું ગેરકાયદે ખનન અને વહન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. વડોદરા અને કરજણ તાલુકાઓમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કરજણ તાલુકા પ્રશાસન પણ જોડાયું હતું.
ડ્રોન સર્વે દરમિયાન મોટી ખનનની ગેરરીતિ બહાર આવી
ભૂસ્તરશાસ્ત્રી નીરવ બારોટે આ અંગે જણાવ્યું હતું કે, ખાતા દ્વારા ખનીજ ચોરી પર નજર રાખવા અને ડ્રોન સર્વેલન્સની અદ્યતન પદ્ધતિ અપનાવવામાં આવી છે. તાજેતરમાં વડોદરા તાલુકાના રાયકા, દોડકા, ફાજલપુર અને ખલીપુર વિસ્તારમાં ડ્રોન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તે દરમિયાન ખલીપુર ખાતે એક ખાનગી કંપનીના પેટા કોન્ટ્રાકટર દ્વારા સાદી માટીના બિન અધિકૃત ખનન અને વહનની ગેરરીતિનો પર્દાફાશ થયો હતો.