રાષ્ટ્રપતિ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. બંધારણના કલમ 79 મુજબ રાષ્ટ્રપતિ પણ સંસદનો અનિવાર્ય હિસ્સો છે. લોકસભા સચિવાલયે રાષ્ટ્રપતિ દ્ધારા ઉદ્ધાટન ના કરવાનો લેવામાં આવેલો નિર્ણય ખોટો છે. અરજદારનું નામ સીઆર જયાસુકિન છે. વ્યવસાયે વકીલ જયાસુકીન તમિલનાડુના છે. તેઓ પીઆઈએલ ફાઇલ કરતા રહે છે. તેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશના બંધારણીય વડા હોવાના કારણે રાષ્ટ્રપતિ જ વડાપ્રધાનની નિમણૂક કરે છે. તમામ મોટા નિર્ણયો પણ રાષ્ટ્રપતિના નામ પર જ લેવામાં આવે છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે કલમ 85 હેઠળ માત્ર રાષ્ટ્રપતિ જ સંસદનું સત્ર બોલાવે છે. કલમ 87 હેઠળ તેમનુ સંસદમાં અભિભાષણ થાય છે. જેમાં તેઓ બંન્ને ગૃહોને સંબોધિત કરે છે. સંસદ દ્વારા પસાર કરાયેલા તમામ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી પછી જ કાયદા બને છે. તેથી સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્ધારા કરાવવું જોઇએ. અરજદારે કહ્યું હતું કે લોકસભા સચિવાલય દ્વારા 18 મેના રોજ સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટે આમંત્રણ પત્ર જાહેર કર્યું છે તે ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપવો જોઈએ કે ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન 28 મેના રોજ થવાનું છે. સુપ્રીમ કોર્ટમાં હાલમાં વેકેશન બેન્ચ બેઠી છે. આવી સ્થિતિમાં અરજદારો આવતીકાલે એટલે કે 26 મેના રોજ ત્યાં તેમના વિચારો રજૂ કરવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ સુપ્રીમ કોર્ટ આવા વહીવટી નિર્ણયમાં દખલગીરી કરે તેવું ખૂબ ઓછું બને છે. ગુરુવાર, 25 મેના રોજ આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશે પીએમ મોદીની ટીકા કરતા કહ્યું હતું કે એક માણસના ઘમંડ અને પોતાનું પ્રમોશન કરવાની ઇચ્છાએ દેશની પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિના હાથે સંસદનું ઉદ્ઘાટન કરવાનું ગૌરવ છીનવી લીધું છે.