ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે કેનબેરા ખાતે પ્રથમ ટી-20ની મેચ રમાશે. ભારત-ઓસ્ટ્રેલિયા સામે 3 ટી-20ની મેચો રમાનાર છે. આ શ્રેણી અગાઉ ભારતે વન-ડે શ્રેણી રમી હતી, જેમાં ભારતનો નામોશીભર્યો શ્રેણી પરાજય થવા પામ્યો હતો.
વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ ટી-20 શ્રેણીમાં ઉતરશે, પરંતુ ઘર આંગણેના પુરા લાભ સાથે ઓસ્ટ્રેલિયા ભારતને વન-ડે બાદ ટી-20 શ્રેણીમાં પણ પરાજીત કરવા કટીબદ્ધ છે, અલબત આધારભૂત બેટધર ડેવિડ વોર્નરે ઇજાગ્રસ્ત થતા ઓસ્ટ્રેલિયા ટીમને ચોકકસ થોડી ખોટ સાલશે, એમાં બેમત નથી. ભારત તરફથી હાર્દિક પંડયા અત્યારે જબરદસ્ત ફોર્મમાં હોવાથી તેની પાસે સારી ઇનિંઝની અપેક્ષા છે. બંને દેશો વચ્ચે આજ સુુધી કુલ 21 ટી-20 મેચો રમાયા છે. જેમાંથી ભારતે 11 અને ઓસિઝે 9 મેચોમાં વિજય પ્રાપ્ત કર્યા છે. બે મેચો રદ અથવા અનિર્ણિત સમાપ્ત થઇ છે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં લગભગ બેટધરો જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યા છે, ત્યારે આ ટીમ સારો એવો જુમલો નોંધાવવા ઇચ્છે છે. આમેય વન-ડે શ્રેણીમાં ભારતના ગોલંદાજો ધીમો દેખાવ કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે. ત્યારે ભારતે બેટધરો પાસે લાંબી ઇનિંગ્ઝોની અપેક્ષા રાખે છે. ઓસિઝનો સુકાની એરોન ફિન્ચ અને મધ્યમ ક્રમનો બેટધર સ્ટીવ સ્મીથ અત્યારે નોંધપાત્ર ઇનિંગ્ઝો રમી રહ્યા છે. ત્યારે ટી-20 મેચોને પણ આ બંને ખેલાડીઓ યાદગાર બનાવવા સજજ છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર આજ સુધી આ બંને દેશો વચ્ચે કુલ 9 મેચોનું આયોજન થયું છે. તેમાંથી ભારતે પ ટી-20 મેચોમાં વિજય પ્રાપ્ત કર્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 3 મેચો જીતી છે. 1 મેચ અનિર્ણીત સમાપ્ત થઇ છે.
ભારતનો ઓસ્ટ્રેલિયાની ધરતી પરનો દેખાવ જોતા જણાય છે કે 2016ની ટી-20 મેચમાં ભારતે સીડની ખાતે ઓસીઝ સામે 3 વિકેટે ર00 રન નોંધાવ્યા છે. જ્યારે ન્યુનતમ ટીમ જુમલો 2008માં મેલબોર્ન ખાતે 74 રનનો ભારતે નોંધાવ્યો હતો. ભારતે સૌથી મોટો વિજય 2016માં એડીલેડ ખાતે 37 રનથી મેળવ્યો હતો. જ્યારે શ્રેષ્ઠ વ્યકિતગત જુમલો ભારત તરફથી વિરાટ કોહલીએ 90 રનનો નોંધાવ્યો છે.
શ્રેષ્ઠ ભાગીદારી 134 રનની વિરાટ કોહલી અને સુરેશ રૈના વચ્ચે નોંધાયેલી છે. છેલ્લી પાંચ ટી-20 મેચોમાંથી ભારત અને ઓસ્ટ્રેલિયાએ 2-2 ટી-20 મેચો જીતી છે, એક મેચ મેલબોર્નની અનિર્ણીત સમાપ્ત થઇ છે. સદી ફટકારવાની બાબતે ઓસ્ટ્રેલિયાના બેટધરોએ મેદાન માર્યું છે. 2016માં સિડની ખાતે શેન વોટસને 71 દડામાં અણનમ 124 રનથી શાનદાર ઇનિંગ્ઝ રમી હતી. ત્યારબાદ 2019માં પપ દડામાં ગ્લેન મેકસવેલે અણનમ 113 રન ફટકાર્યા હતા. આ વખતની ટી-20 શ્રેણીમાં ભારતે ઓવર કોન્ફીડન્સમાં રહેવા જેવું નથી. ઉપરાંત ગોલંદાજો એ શાનદાર ગોલંદાજી કરીને મેચ જીતવાનો અભિગમ દાખવવો પડશે.