દેહરાદૂન. બદ્રીનાથ ધામના કપાટ 15 મેના રોજ સવારે 4.30 કલાકે ખુલશે. આ દરમિયાન મુખ્ય પુજારી સહિત માત્ર 27 લોકો હાજર રહેશે. તેમાં પુજારી અને દેવસ્થાન બોર્ડના અધિકારીઓ સામેલ થશે. શ્રદ્ધાળુઓને હાજર રહેવાની પરવાનગી હશે નહિ. જોશીમઠના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અનિલ ચન્યાલે આ માહિતી આપી છે. મુખ્ય પુજારી ઈશ્વરી પ્રસાદ નંબૂદરીનો કોરોના ટેસ્ટ બે વખત નેગેટિવ આવી ચૂક્યો છે. તેઓ બે સપ્તાહનું ક્વોરેન્ટાઈન પુરું કરી ચૂક્યા છે. કેરળમાંથી પરત ફરવાને કારણે તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.
કેરળના પૂજારી કરે છે પૂજા
બદ્રીનાથ ધામમાં ભગવાનના પાંચ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. વિષ્ણુજીના આ પાંચ સ્વરૂપોને પંચ બદ્રી કહેવામાં આવે છે. બદ્રીનાથના મુખ્ય મંદિર સિવાય અન્ય ચાર સ્વરૂપોના મંદિર પણ અહીં જ છે. શ્રી વિશાલ બદ્રી પંચ સ્વરૂપો મુખ્ય છે. આદિગુરુ શંકરાચાર્ચ દ્વારા નક્કી કરવામાં આવેલી વ્યવસ્થાના જણાવ્યા મુજબ બદ્રીનાથ મંદિરના મુખ્ય પૂજારી દક્ષિણ ભારતના કેરળ રાજ્યના હોય છે. મંદિર દર વર્ષે એપ્રિલ-મેથી ઓક્ટોબર-નવેમ્બર સુધી દર્શન માટે ખુલ્લુ રહે છે.
દેવસ્થાન બોર્ડે તૈયારીઓ પુરી કરી
પહેલા 30 એપ્રિલે મંદિરના દરવાજા ખુલવાનું શેડ્યૂલ હતું, પરંતુ લોકડાઉન અને મુખ્ય પુજારીના ક્વોરેન્ટાઈન થવાના કારણે તારીખ આગળ વધારવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને ઓછામાં ઓછા લોકોની હાજરીની વચ્ચે દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉતરાખંડ દેવસ્થાન બોર્ડે બરફને દૂર કરવાથી લઈને પાણી-વીજળી સુધીની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. તૈયારીઓમાં લાગેલા લોકો માટે માસ્ક પહેરવું જરૂરી છે.