વડોદરા. વાઘોડિયા તાલુકાના મહાદેવપુરા ગામ પાસેથી પસાર થતી દેવ નદીમાં કપડાં ધોવા ગયેલી મહિલા ઉપર મગરે હુમલો કરી નદીમાં ખેંચી ગયો હતો. મગરે મહિલાના પગ, હાથ અને જાંઘને ફાડી ખાતા તેઓનું મોત નીપજ્યું હતું.
મહિલાના પતિ, પુત્ર સહિત ગામના તરવૈયાઓએ નદીમાં શોધખોળ હાથ ધરી
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના મહાદેવપુરા ગામમાં રહેતા મંગીબહેન ઉકેળભાઇ વસાવા(ઉં.54) ગામના છેવાડેથી પસાર થતી દેવ નદીમાં કપડાં ધોવા ગયા હતા. મંગીબહેન કપડાં ધોવામાં મગ્ન હતા. દરમિયાન નદીમાંથી ધસી આવેલા મગરે તેઓના ઉપર હુમલો કરીને નદીમાં ખેંચી ગયો હતો. આ બનાવની જાણ પરિવારજનો અને ગામ લોકોને થતાં નદી કિનારે દોડી ગયા હતા. અને મહિલાના પતિ, પુત્ર સહિત ગામના તરવૈયાઓએ નદીમાં શોધખોળ હાથ ધરી હતી.
દેવ નદીંમાં મગરો હોવાથી અવાર-નવાર હુમલાઓ થાય છે
મહિલાને મગરના સંકજામાંથી છોડાવવા માટે ડાંગો જેવા મારક હથિયારો સાથે નદીમાં ઉતરેલા તરવૈયાઓએ જણાવ્યું હતું કે, મંગીબહેનનો નદીમાં બે મગરોએ પોતાના જડબામાં જકડી રાખ્યા હતા. એક કલાક સુધી બે મગરો સામે જંગ ખેલીને મંગીબહેનને બહાર લાવ્યા હતા. જોકે, મગરોએ મહિલાનો એક હાથ, પગ અને જાંઘના ભાગે ફાડી ખાધું હોવાથી તેઓ બચી શક્યા નહોતા. મહિલાની નદીમાંથી માત્ર લાશ હાથમાં આવી હતી. મહાદેવપુરા ગામ પાસેથી પસાર થતી દેવ નદીમાં બનેલા આ બનાવની જાણ વાઘોડિયા પોલીસ અને વન વિભાગની ટીમ દોડી ગઇ હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દેવ નદીંમાં મગરો વસવાટ કરતા હોવાથી અવાર-નવાર હુમલાઓ થાય છે.