લાહોર : ટેરર ફંડિગ અને મની લોન્ડરિંગ પર લગામ લગાવતી સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે (FATF) પાકિસ્તાન ને ગત વર્ષે ‘ગ્રે લિસ્ટમાં’નાંખી દીધું હતું. હવે સપ્ટેમ્બરમાં FATF પાકિસ્તાનને આતંકવાદ પર કડક કાર્યવાહી ન કરવા માટે બ્લેકલિસ્ટ કરી શકે છે. આ અંગે સંસ્થાએ પાકિસ્તાનને જાન્યુઆરીમાં ચેતવણી પણ આપી હતી. જો કે, ઈમરાન સરકારે આતંકીઓ વિરોધી નકલી અને નબળા મામલાઓ નોંધવાના શરૂ કરી દીધા છે, જેથી આતંકીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા હોવાનો દેખાડો કરી શકાય.
રિપોર્ટ્સ પ્રમાણે, પાકિસ્તાન આવું કરીને AFTFને બતાવવા માગે છે કે તે આતંકીઓ વિરોધી કડક પગલા ભરી રહ્યા છે, જ્યારે સામાન્ય કેસ હોવાના કારણે આતંકીઓને તેમની મનમાની કરવાની પણ છૂટ મળી રહે છે. ન્યૂઝ એજન્સીના સૂત્રો પ્રમાણે, 1લી જુલાઈએ લશ્કરે-એ -તૈયબાના એક આતંકી વિરોધી જમીન વિવાદનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ એટલો નબળો છે કે જેનાથી આતંકી પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થવાની સંભાવનાઓ નથી.
FIRમાં આતંકીઓના નામ સામેલ નથી- પાકિસ્તાન આ મામલાઓને એવી રીતે રજુ કરી રહ્યું છે કે તે આતંકીઓની સંપત્તિઓ જપ્ત કરી તેની લેવડ દેવડને અટતાવી રહ્યું છે. પરંતુ હજુ સુધી આતંકી સંગઠનના આકાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. FIRમાં લશ્કર પ્રમુખ હાફિઝ સઈદ અથવા આતંકી અબ્દુલ ગફ્ફાર, હાફિઝ મસૂદ, આમિર હમજા અને મલિક ઝફર ઈકબાલના નામનો પણ ઉલ્લેખ નથી, જ્યારે આ તમામ તે જમીનના માલિકોમાં સામેલ હતા. FIRમાં આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઈન્સાનિયતનો પણ કોઈ ઉલ્લેખ નથી. જ્યારે એક જગ્યાએ તેમા દાવત-વલ-ઈરશાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જમાત-ઉદ-દાવાનું જુનું નામ છે.
FATFને ગેરમાર્ગે દોરવા માગે છે પાકિસ્તાનઃ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, એફઆઈઆરમાં જમીન વિવાદ સાથે જોડાયેલા લોકોનું નામ આપવામાં આવ્યું નથી અને ન તો તેના ગુનાની ટાઈમલાઈન આપવામાં આવી છે. આ ઉપરાંત તેમની આતંકી પ્રવૃત્તિઓ અંગેની પણ જાણકારી આપવામાં આવી નથી, જેથી FATFની આંખોમાં ધૂળ નાંખી શકાય.