મહારાષ્ટ્રના રાજકીય હંગામા વચ્ચે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો છે. કોરોના સંક્રમણના કારણે તેમને રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત 22 જૂનના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકાર પર ઘેરાયેલા સંકટના વાદળો વચ્ચે રાજ્યપાલ કોરોના સંક્રમિત થયા તે વાત ચર્ચાનો વિષય બની હતી.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રનો રાજકીય ખેલ દિવસેને દિવસે વધારે રસપ્રદ બની રહ્યો છે. દરરોજ બંને પક્ષ નવા દાવ લઈને સામે આવે છે અને સાંજ પડતામાં આખી સ્થિતિ પલટાઈ જાય છે. બંને પક્ષ હાલ પોતપોતાના ધારાસભ્યોને બચાવવા પ્રયત્નો કરી રહ્યા છે. આ બધા વચ્ચે પાર્ટીને તૂટતી બચાવવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે પણ મેદાનમાં ઉતર્યા છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે પાર્ટીથી નારાજ થયેલા ધારાસભ્યોને મનાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. તેઓ સતત બળવાખોર ધારાસભ્યોના પત્નીઓનો સંપર્ક સાધી રહ્યા છે. તેઓ બળવાખોર ધારાસભ્યોની પત્નીઓના માધ્યમથી પોતાની વાત બાગી નેતાઓ સુધી પહોંચાડી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ રશ્મિ ઠાકરેએ માતોશ્રી ખાતેથી અનેક બળવાખોર ધારાસભ્યોની પત્નીઓનો સંપર્ક કર્યો હતો. તેમણે તે તમામ મહિલાઓને પોતાના બળવાખોર પતિઓને સમજાવીને ગુવાહાટીથી પરત લાવવા જણાવ્યું છે.