અમદાવાદ: શહેરના કોટ વિસ્તારમાં હેરિટેજ બિલ્ડિંગ તોડીને તેના સ્થાને બની ગયેલા 22 કોમર્શિયલ એકમને તોડી પાડવાનો સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લીધો છે. મ્યુનિ.એ થોડા સમય પહેલા જ 46 બિલ્ડિંગોને નોટિસો આપી હતી.
કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામેના અભિયાનમાં ખાસ કરીને હેરિટેજ બિલ્ડિંગોને તોડીને તેને સ્થાને બનાવાતા નવા મકાનોની મ્યુનિ.એ ગંભીરતાથી નોંધ લીધી છે. 3 મહિના પહેલા પણ આવી કોમર્શિયલ મિલકતોને મ્યુનિ.એ તોડી પાડી હતી. હવે આવી 22 જેટલી મિલકતોને તોડી પાડવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ સૂચના આપી છે.
આ ગેરકાયદે બાંધકામ નિયમિત થઈ શકે
શહેરમાં ગેરકાયદે બાંધકામની ફરિયાદ આવે ત્યારે તેને સીલ કરવા કે તોડી પાડવા માટે શું જોગવાઇ છે તેવો પ્રશ્ન સ્ટેન્ડિંગ કમિટીમાં એક સભ્યે કર્યો હતો. ત્યારે એવી સ્પષ્ટતા કરાઇ હતી કે, જે મિલકતના જમીન સહિતની બાબતો તમામ ગેરકાયદે હોય ત્યારે તેવા કિસ્સામાં તેને તોડી પાડવામાં આવે છે. પરંતુ જો માત્ર મંજૂરી લીધા સિવાય જ બાંધકામ કરવામાં આવ્યું હોય તો તેવા કિસ્સામાં તેને કેટલાક સંજોગોમાં મંજૂરી માટે જરૂરી દંડ ભરીને ફરીથી નિયમિત કરી આપવાની જોગવાઇ છે.