સુરત. લોકડાઉનમાં બહાર જવાની ના પાડનાર પિતાની વાતથી માઠું લાગી આવ્યા રત્નકલાકાર પુત્રએ કાપોદ્રા-ઉતરાણ બ્રિજ પરથી તાપીમાં છલાંગ મારી મોતને વ્હાલું કરી લીધું હતું. કાપોદ્રાની હસ્તિનાપુર સોસાયટીમાં રહેતા યુવકે પિતા સાથે બોલાચાલી કર્યા બાદ 30મી એપ્રીલથી ગુમ થયો હતો. બાદમાં કાપોદ્રા બ્રીજ પરથી ચપ્પલ મળતાં ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. જેથી ફાયરબ્રિગેડે તાપી નદીમાંથી યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.
લોકડાઉનમાં માનસિક તાણ અનુભવતો
કાપોદ્રાની હસ્પિતનાપુર સોસાયટીમાં રહેતા અને મૂળ સાવરકુંડલાના વતની અજય ધોળકિયાની 30મી એપ્રિલના રોજ પિતા સાથે ઘર બહાર ન નીકળવા મુદ્દે માથાકૂટ થઈ હતી. બાદમાં અજય ઘર છોડીને જતો રહ્યો હતો. જેથી પરિવારે તેની શોધખોળ આદરી હતી. મૃતકના મોટાભાઈ ચિરાગએ જણાવ્યું હતું કે, કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. અજય હીરા મજૂરીના કામ સાથે સંકળાયેલો હતો. છેલ્લા લગભગ 33 દિવસથી લોકડાઉનમાં ઘરમાં બંધ અજય માનસિક તણાવમાં હોય એમ લાગતું હતું.
પિતાએ ઘર બહાર ન રખડવા ઠપકો આપ્યો હતો
અજય કયારેક ઘર બહાર નીકળી લટાર મારી આવતો હતો. જેને લઈ માહામારી સામે ઘરમાં રહેવા પિતાએ ઠપકો આપ્યો હતો. 30મીની રાતથી ગમ અજય મોડી રાત સુધી ઘરે ન આવતા તેની શોધખોળ કરાઈ હતી. કાપોદ્રા બ્રીજ પર તેના ચપ્પલ મળી આવ્યા બાદ આખું પરિવાર તણાવમાં આવી ગયું હતું. રાત્રે એક વાગ્યા બાદ ઘરે આવેલા પરિવારે સવારે કાપોદ્રા ફાયરની મદદથી તાપી નદીમાં શોધખોળ હાથ ધરી હતી. કલાકો બાદ તાપીના પાણીમાં પીળો શેવાળ વચ્ચે પીળી ટી શર્ટ માં એક મૃતદેહ અજયના મિત્રને દેખાઈ ગયા બાદ ફાયરના જવાનોએ અજયનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી.