9 જાન્યુઆરી શનિવારે માગશર વદ એકાદશી ના રોજ સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મહંત શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સ્વામિનારાયણ મહામંત્રની 219 મી જયંતીની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સવારે 7 થી 8 વાગ્યા સુધી કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન – કથા કરવામાં આવશે. આ પ્રસંગે હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી કથામૃતનું રસપાન કરાવશે. તે ઉપરાંત ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે.
યુટયુબ ચેનલ ઉપર પ્રસારણ કરાશે
વિવિધ 40 ભાષામાં સ્વામિનારાયણ મહામંત્ર લખાયેલો 6 ફૂટ લંબાઈનો વિશાળ પત્ર સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોમાં સમર્પિત કરવામાં આવશે અને મહંત સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી તેનું પૂજન,અર્ચન કરીને આરતી ઉતારશે. રાત્રે 9થી 10 વાગ્યે પ્રેમવત્સલદાસજી સ્વામી સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા એ વિષય ઉપર પ્રવચન આપશે. ત્યારબાદ આનંદપ્રિયદાસજી સ્વામી આશીર્વચન પાઠવશે. જેનું પ્રસારણ સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – યુટયુબ ચેનલ ઉપર કરવામાં આવશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મંદિરોમાં ઉજવણી કરવામાં આવે છે
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્વામિનારાયણ મહામંત્ર અંગે જણાવ્યું હતું કે, આજથી 219 વર્ષ પૂર્વે સહજાનંદ સ્વામીએ સંવત્ 1858 ના માગશર વદ – એકાદશીના રોજ ફણેણી ગામમાં પોતાના આશ્રિતોને મંત્ર જાપ માટે “ સ્વામિનારાયણ ” નામ આપ્યું. અને ત્યારથી આ સંપ્રદાય એ “સ્વામિનારાયણ સંપ્રદાય ”તરીકે પ્રસિધ્ધ થયો. અને ત્યારપછી સૌ કોઈ સહજાનંદસ્વામીને પણ સ્વામિનારાયણ ભગવાન તરીકે જગમાં ઓળખતા થયા. તેથી આ માગશર વદ એકાદશી ની ઉજવણી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મંદિરોમાં કરવામાં આવે છે.