ગુજરાતનો શિક્ષણ વિભાગ માત્ર સમિતિઓ પર જ ચાલતો હોવાનું બહાર આવી રહ્યું છે. ખાસ કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવામાં સાવ નિષ્ફળ શિક્ષણ વિભાગ સ્કૂલ-સંચાલકો સામે ફી ઘટાડાના મામલે ઘૂંટણિયે પડી ગઈ છે. એ સંજોગોમાં હવે રાજ્યની યુનિવર્સિટી અને ટેક્નિકલ કોલેજોમાં પણ ફી ઘટાડા સમિતિ બનાવાઈ છે, જેના રિપોર્ટના આધારે હવે નિર્ણય લેવામાં આવશે.
ગુજરાત સરકારની ફી ઘટાડા સમિતિ બનાવી
કોરોના વાઇરસની મહામારીને કારણે રાજ્યભરની સ્કૂલોમાં ફી ઘટાડા અંગેની પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. ત્યાં હવે ટેક્નિકલ કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હાલ ઘરે બેઠાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ ખાનગી કોલેજો અને યુનિ.ની ફીના ઘટાડાના મુદ્દે ગુજરાત સરકાર દ્વારા ખાસ સમિતિની રચના કરી દેવામાં આવી છે.
નિવૃત્ત ન્યાયમૂર્તિના ચેરમેનપદે સમિતિ
ગુજરાતના નિવૃત્ત ન્યાયમૂર્તિ અક્ષય મહેતાના ચેરમેનપદ હેઠળની આ સમિતિના સભ્ય તરીકે હિમાંશુ પંડ્યા (કુલપતિ-ગુજરાત યુનિવર્સિટી), હર્ષદ પટેલ (કુલપતિ-આઇઆઇટીઇ ગાંધીનગર), અનુપમસિંહ (ડાયરેક્ટર જનરલ-નિરમા યુનિવર્સિટી), મનીષ શાહ (આચાર્ય-એલ.જે. કોલેજ અમદાવાદ) સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે સમિતિના મેમ્બર સેક્રેટરી તરીકે એમ. નાગરાજન (ડાયરેક્ટર ઉચ્ચ શિક્ષણ વિભાગ)ની નિયુકિત કરવામાં આવી છે.
ટ્યૂશન ફી ઘટાડા માટે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ હેઠળ આવતી સંસ્થાઓ પૈકીની પ્રોફેશનલ અને ટેક્નિકલ સંસ્થાઓના ફી નિયમન માટે એફઆરસી ટેક્નિકલ કાર્યરત છે. હાલમાં ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો, સ્વનિર્ભર સંસ્થાઓ અને ખાનગી યુનિ.ઓમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ટ્યૂશન ફી ઘટાડા માટે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ થયેલી છે, જે બાદ હવે રાજય સરકાર દ્વારા ખાનગી ટેક્નિકલ કોલેજોને ફી ઘટાડાના મુદે આ ખાસ સમિતિની રચના કરવામાં આવી છે. એને સપ્તાહમાં આ અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરાશે એવું ટોચનાં વર્તુળોએ જણાવ્યુ હતું.