સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1406 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 63 પર પહોંચી ગયો છે. ગત રોજ શહેરમાં 23 અને જિલ્લામાં 3 દર્દીઓ સહિત વધુ 26 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી અત્યાર સુધીમાં 972 દર્દીઓ રિકવર થયા છે. સોમવારે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં બેંક મેનેજર, જિલ્લા સેવાસદનની ક્લાર્ક,પાલિકાનો ડ્રાઈવર, કેબલ ઓપરેટર તેમજ શાકભાજી વિક્રેતા, ડેરી સંચાલક અને વાળંદનો પણ સમાવેશ થયો છે.
કોરોના ફ્રન્ટ લાઈનર કોરોનાની ઝપેટમાં આવ્યા
પાલનપુર પાટીયા તિરૂપતિ બાલાજી સોસાયટી ખાતે રહેતા સુરભિબેન અજયકુમાર મોદી (ઉ.વ.26) કલેક્ટર પીઆરઓ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેઓ હાલ ડિજીટલ ગુજરાત પોર્ટલ પર લોકડાઉનમાં ઓનલાઇન મંજુરી અંગેની કામગીરી કરતા હતા. બે દિવસ પહેલા જિલ્લા સેવા સદનમાં રેવન્યુ ક્લાર્ક શીલાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સુરભીબેન તેમના સંપર્કમાં આવ્યા હોવાથી તેમના સેમ્પલ લેવાયા હતા અને સોમવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે ઘોડદોડ રોડ ખાતે આવેલી એક્સીસ બેંકના ડેપ્યુટી મેનેજર વિકાસ દિનેશ મંડલ (ઉ.વ.32)ને પણ કોરોનાની અસર થતા સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે રૂસ્તમપુરા મોમનાવાડ ખાતે રહેતા નૌશાદ ગુલામ જરીવાલા (ઉ.વ.27) પાલિકામાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. કોરોનાના લક્ષણો બાદ તેમના સેમ્પલ લઈ તપાસ કરતા તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
શાકભાજી વિક્રેતા, કેબલ ઓપરેટર અને હેર સલુનવાળાને કોરોના
વરાછા માતાવાડી કમલપાર્ક ખાતે રહેતા અભય ભગીરથભાઇ બહેરા (ઉ.વ.50) શાકભાજીનો ધંધો કરે છે. તેમનો ભાઈ કરિયાણાની દુકાન ચલાવે છે તેઓ ત્યાં પણ બેસતા હતા. દરમિયાન તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી હતી. સોમવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે સલાબતપુરા જુના માછીવાડ ખાતે રહેતા રાજેન્દ્ર હિતેન્દ્ર જરીવાલા (ઉ.વ.40) ખટોદરા વિસ્તારમાં કેબલ ઓપરેટર છે. તેમને પણ કોરોનાના લક્ષણો બાદ સોમવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત લિંબાયત ગોડાદરા સફીરે રેસીડેન્સીમાં રહેતા વૈભવ અરૂણ મહાલે (ઉ.વ.33) પર્વત પાટીયા ખાતે હેર સલૂન ચલાવે છે. સોમવારે તેમનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
એન્જીનીયરિંગના વિદ્યાર્થી અને ફાયનાન્સ ઓફિસના કર્મચારીને કોરોના
વરાછા હંસકૃપા એપાર્ટમેન્ટમાં રહેતો અજય રમેશભાઇ(ઉ.વ.20) વલસાડ ખાતે એન્જિનિયરીગનો અભ્યાસ કરે છે. પાડોશમાં રહેતા એન્જિનિયરીંગના વિદ્યાર્થી અને કોરોના પોઝિટિવ દર્દી તુષાર રાઠોડના સંપર્કમાં આવ્યો હોવાથી તેમજ કોરોનાના શંકાસ્પદ લક્ષણ દેખાતા તેના સેમ્પલ લેવાયા હતા. સોમવારે તેનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. તેમજ મુગલસરાઇ રોડ પર આવેલા ચિંતામણિ દેરાસર સામે પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં રહેતા હસમુખ મણિલાલ બગડીયા (ઉ.વ.69) ફાયનાન્સની ઓફિસમાં કામ કરે છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો બાદ તેમના સેમ્પલ લઈ તપાસ કરતા તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
અલગ અલગ ગુનામાં ઝડપાયેલા બે આરોપીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા
પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે કરવા પહેલા કોરોનાની તપાસ કરવામાં આવે છે. સોમવારે આવી તપાસ દરમિયાન પોલીસે જુદા જુદા ગુનામાં પકડેલા બે આરોપીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ક્રાઈમ બ્રાંચે અડાજણ આનંદ મહેલ રોડ પરથી દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલા અને ગોપીપુરા મોમનાવાડ ખાતે રહેતા અલાઉદ્દીન ઈબ્રાહીમ શેખ(ઉ.વ.50) તેમજ કતારગામ પોલીસે મારામારીના ગુનામાં ઝડપી પાડેલા કતારગામ શાંતીનગર ઝુપડ પટ્ટી ખાતે રહેતા સંગ્રામ મંગલ પરીડા(ઉ.વ.27)ને જેલ હવાલે કરતા પહેલા તેમની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. જેમાં આ બન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.