કોરોના સંક્રમણ સતત આગળને આગળ વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવના કુલ કેસ વધીને 28,871 થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 923 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે કોરોનાને મ્હાત આપવામાં 25,405 લોકોને સફળતા મળી છે. રિક્વરી રેટ 90 ટકા આસપાસ નોંધાયો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2543 એક્ટિવ કેસ છે.
સિવિલ અને સ્મીમેરમાં 12 દર્દી વેન્ટિલેટર પર
સિવિલ હોસ્પિટલમાં 114 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 79 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 16 બાઈપેપ અને 57 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 40 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 39 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 15 બાઈપેપ અને 18 દર્દીઓ ઓક્સિજન પર છે.
કાળજી રાખવી જરૂરી-ઓબ્ઝર્વર
સુરતના ઓબ્ઝર્વર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુરતમાં કેસમાં વધારો થયો છે જેમાં સંક્રમીત દર્દીના પરિવારના સભ્યોમાં સંક્રમણ વધ્યુ છે. જોકે આને સેકન્ડ વેવ ન કહી શકાય, ઈન્ડસ્ટ્રી અને માઈગ્રેશન શરૂ થયું છે તે પ્રમાણે કેસ વધી રહ્યા છે. તેની સામે ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી છે. હાલ આપણી પાસે 3 હજારથી વધુ બેડ ખાલી પડેલા છે એટલે ટર્શરી કેર બાબતે કોઈ ચીંતા જેવી સ્થિતિ નથી. લોકોએ હજી કાળજી રાખવી ખુબ જરૂરી છે.