રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લાની ૩૫૩દીકરીઓને “કુંવરબાઈનું મામેરુ”યોજના અંતર્ગતરૂ. ૨૮ લાખથી વધુ રકમની સહાય ચુકવાઈ
“કુંવરબાઈનું મામેરૂ”સરકારની આ યોજના અનેક દિકરીઓ માટે આશીર્વાદરૂપ છે
દિકરીના લગ્નએ દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે. ઉમંગથી, ઉત્સાહથી દીકરીના લગ્ન કરવાની દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે. પરંતુ એ જ સાથે દિકરીને મામેરુ આપવાની, કરિયાવર આપવાની પણ તેને ચિંતા રહે છે. રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા માતા-પિતાઓને ચિંતામુક્ત બનાવીને દીકરીઓના લગ્નના કરિયાવરની ચિંતા કરીને ‘કુંવરબાઈનું મામેરું’ યોજના અમલી બનાવવામાં આવી છે. જેના થકી રાજ્ય સરકાર આ યોજના અંતર્ગત લાભાર્થી દિકરીઓના બેંક ખાતામાં સહાયની રકમ સીધી ચુકવવામાં આવે છે.
આ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની દિકરીઓને ખુબ સંતોષકારક રીતે લાભ મળ્યો છે. જામનગર જિલ્લામાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે પછાત અને અનુસૂચિત જાતિની કુલ ૩૫૩ દીકરીઓને મામેરા પેટે અંદાજિત ૨૮.૦૦ લાખની સહાય ચુકવવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિની કુલ ૨૮૦ અને અન્ય પછાત વર્ગની કુલ ૭૩ કન્યાઓએ આ લાભ મેળવ્યો છે.
આ યોજનાથી લાભાર્થી નિશિતાબેન રાજન કહે છે કે, રાજ્ય સરકારની આયોજના થકી મારા પિતાની ચિંતા દુર થઈ. જેથી તેઓએ નિશ્ચિંત થઈ ખુશીથી મારા લગ્ન કરાવી શક્યા છે. તે માટે રાજય સરકારની હું ખુબ ઋણી છું.”
આ અંગે મયુરીબેન હિરજીભાઈ માંગે પણ સરકારની આ યોજનાને દીકરીઓ માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. માતા-પિતાની ચિંતાને સમજી દીકરીઓના પ્રસંગે માતા-પિતાનો ટેકો બનતી આ યોજના સંવેદનશીલ રાજય સરકારનો લોકપ્રતિ સંવેદનશિલતાનો ભાવ પ્રદર્શિત કરે છે.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS જામનગર