(રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ)
અમદાવાદ: રાજ્યમાં ટેલ્કમ પાઉડર નાંખીને બનતી મીઠી બરફી અને ભેળસેળયુક્ત માવામાંથી મીઠાઇઓ બનાવવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા બાદ આગામી દિવાળીમાં મીઠાઇ, ફરસાણમાં વ્યાપક ભેળસેળ ન થાય તે માટે તમામ વેપારીઓને મીઠાઇ કે ફરસાણ ક્યા કૂકીંગ માધ્યમથી બન્યા છે એટલે કે તેમાં ઘી, ખાદ્યતેલનો પ્રકાર, વનસ્પતિ અથવા ફેટની જાણકારી નાગરિકો જોઇ શકે તે રીતે દુકાનના નોટિસ બોર્ડ ઉપર લગાવવાની સૂચના ફૂડ એન્ડ ડ્રગ તંત્ર દ્વારા આપવામાં આવી છે.
દૂધની મિઠાઈના પૅકિંગ પર બેસ્ટ બીફોર અને યુઝ્ડ ડેટ લખવાની રહેશે
ખોરાક અને ઔષધ નિયમન તંત્રે એક માર્ગદર્શિકા જારી કરી છે. વેપારીઓએ ખાદ્ય તેલનો પ્રકાર વનસ્પતિ અથવા અન્ય ફેટ સહિતની માહિતી ગ્રાહકો જોઈ શકે તે પ્રકારથી પ્રદર્શિત કરવાની રહેશે. દૂધની તૈયાર થયેલી વસ્તુઓ માટે પેક અથવા લૂઝ મિઠાઈમાં બેસ્ટ બિફોર અને યુઝ્ડ બાય ડેટ ચોક્કસપણે લખવાની રહેશે. માંડવા અથવા શામિયાણું નાખી વેચાણ કરતા વેપારીઓએ પણ FSSAIનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે.
કલર કે એડેટિવ્સ નહીં વાપરી શકાય
વેપારીઓએ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ સ્થિતિમાં જ ખાદ્ય ચીજવસ્તુ બનાવવાની, વેચાણ કરવાની તેમજ સંગ્રહ કરવાની રહેશે. કોઇપણ જાતના અમાન્ય કલર, સુગંધિત દ્રવ્યો કે એડેટિવ્સ વાપરી શકાશે નહીં. ખાદ્યતેલનો તળવા માટે વારંવાર ઉપયોગ કરી શકાશે નહીં. ડેરી આધારિત ઉત્પાદનોના સ્ત્રોતનો રેકર્ડ નિભાવવાનો રહેશે.
માંડવા બાંધી મીઠાઈ વેચનારાઓએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
દિવાળી દરમિયાન ખુલ્લા મેદાનમાં કે રોડસાઇડ પર માંડવા કે સામિયાણા બાંધીને મીઠાઇ-ફરસાણનું વેચાણ થતું હોય છે. આવા વેપારીઓએ પણ ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના નિયમોનું પાલન કરવું પડશે. તમામ વેપારીએ લાઈસન્સ-રજિસ્ટ્રેશનની વિગતો લોકો જોઇ શકે તેમ મૂકવી પડશે.
એક્સપર્ટ વર્ઝન જથ્થો વધારવા મીઠાઈમાં 50% વનસ્પતિ ઘીનો ઉપયોગ થાય છે
ચોખ્ખા માવામાં ભેળસેળ કરવી ગુનો છે. પરંતુ મીઠાઈના નામે માવામાં ભેળસેળ કરાય છે. સામાન્ય રીતે મીઠાઈનો જથ્થો વધારવા વેપારીઓ 50 ટકા શુદ્ધ ઘી અને 50 ટકા વનસ્પતિ ઘીનો ઉપયોગ કરતાં હોય છે કારણ કે મીઠાઈમાં વનસ્પતિ ઘીના ઉપયોગને કાયદેસર મંજૂરી છે.