વલસાડના RPF ગ્રાઉન્ડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક પર જઈ રહેલા દંપતીનું ST બસ નીચે આવી જતાં મોત નીપજ્યું છે. બાઈક સ્લિપ થઈ જતાં પાછળથી આવી રહેલી બસનું પાછળનું ટાયર દંપતી પર ફરી વળ્યું હતું . તડકેશ્વર મંદિરે ફૂલ લઈને દર્શન કરવા જઈ રહેલા ટંડેલ દંપતીનું અકસ્માતમાં અવસાન થયું છે. મોટા તાઈવાડનાં પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ મોત નીપજતાં આસપાસના લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. સાંકડા રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. માહિતી મળતાં જ પોલીસકાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બસનો ચાલક અકસ્માત બાદ પોલીસમાં હાજર થઈ ગયો હતો. હાલ પોલીસ સમગ્ર અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી રહી છે.
મંદિરે જતાં મોત મળ્યું
માછીવાડ મોટા તાઈવાડનાં લક્ષ્મીબેન અને ધીરુભાઈ ટંડેલ ધરમપુર રોડ પર પોતાનું બાઈક લઈને જઈ રહ્યાં હતા એ દરમિયાન આરપીએફ ગ્રાઉન્ડ પાસે બાઈક સ્લિપ થઈ ગયું હતું અને તેઓ રોડ પર પટકાયાં હતાં. આ દરમિયાન પાછળથી આવતી બસનું ટાયર દંપતી પરથી ફરી વળ્યું હતું. દંપતી કચડાયાની બસચાલકને જાણ થતાં તેણે બસ થંભાવી દીધી હતી.
પોલીસે તપાસ આદરી
અકસ્માત થતાં જ આસપાસના લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં, સાથે જ રોડ સાંકડો હોવાથી અકસ્માત સ્થળે ટ્રાફિકજામ સર્જાયો હતો. બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.