દહેગામ શહેરની આરોગ્ય કચેરીના તાલુકા આરોગ્ય અધિકારી કોરોનાની રસીના બે ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થયા હતા જેના કારણે તેમના સહકર્મીઓ અને સંપર્કમાં આવનારા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.થોડા સમય અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ હતો તેવામાં તેઓ સંક્રમિત થયા હતા અને હોમ આઇસોલેશનમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થયા હોવાનું જાણવા મળ્યું છે.
દહેગામ શહેરની આરોગ્ય કચેરીના 48 વર્ષીય તાલુકા આરોગ્ય અધિકારી ડો.આર.કે.પટેલે ગત 16જાન્યુઆરીના રોજ પાલુન્દ્રા ખાતે રસીનો પ્રથમ ડોઝ લીધા બાદના 28 દિવસ પછી બીજો લીધો હતો બીજો ડોઝ લીધા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ પણ શરૂ થયો હતો તેવામાં ડો.આર.કે. પટેલને કોરોનાના લક્ષણો જણાતા તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવતાડો.પટેલ હોમ આઇસોલેશનમા રહી સારવાર લઇ રહ્યા હતાતાલુકા આરોગ્ય અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા લોકો અને સહકર્મીઓમાં પણ ચિંતા પ્રસરી હતી.
તાલુકા આરોગ્ય અધિકારીએ કોરોનાની રસીના બે ડોઝ લીધા હોવા છતાં તેઓ કોરોના સંક્રમિત થયા હોવાના કારણ અંગે આરોગ્ય કચેરીના અન્ય એક તબીબનો સંપર્ક સાધતા તેમણે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે કોરોનાની રસીના બે ડોઝ લીધા બાદના ચૌદ થી પંદર દિવસે ઇમ્યુનિટી આવતી હોય છે પરંતુ તે દરમિયાન સંક્રમિત થયા હોવાનું મનાય છે. અને ગત તા. 22 થી તેઓ હોમ આઇસોલેશન દ્વારા સારવાર લઇ સ્વસ્થ થઇ ગયા છે. અને સોમવારથી પુનઃ ફરજ પર હાજર થનાર હોવાનું પણ જણાવ્યું હતું. જ્યારે પાલુન્દ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી ડોક્ટર આર.કે.પટેલે રસી લીધી હતી તેના તબીબનો સંપર્ક કરતા તેઓ કોઈ ફેમિલી ફંક્શનમાં વ્યસ્ત હોવાના કારણે વેક્સિન કઈ કંપની હતી તે જાણી શકાયું ન હતું.