અમદાવાદ: શુક્રવારે મધરાત્રે રિવરફ્રન્ટ પર આવેલા 100 વર્ષ જૂના મંદિરને તોડી તેની મૂર્તિઓ ખંડિત કરવાના વિવાદમાં વિહિપે સોમવારે મેયર બિજલ પટેલને આવેદન પાઠવી રજૂઆત કરી છે કે,માત્ર મંદિરો જ કેમ તોડાય છે? રિવરફ્રન્ટ પરની કબરો મ્યુનિ.ને કેમ નડતી નથી?
સુભાષબ્રિજ નીચેના શિવમંદિરને મધરાત્રે 2 વાગે મ્યુનિ. તંત્રે તોડી નાખ્યું હતું. મૂર્તિઓને સન્માનજનક રીતે ખસેડવાને બદલે તેને તોડાઈ હતી. સોમવારે વિહિપે મેયરને આવેદનપત્ર આપી કાર્યવાહીનો ભારે વિરોધ કર્યો હતો. બજરંગદળના સંયોજક જ્વલિત મહેતાએ આક્ષેપ કર્યો હતોકે, વિકાસના કામમાં આડે આવતા મંદિરો જે રીતે તોડવામાં આવે છે તે રીતે મસ્જિદો કે કબરો કેમ હટાવવામાં આવતા નથી.
મેયરને આવેદનમાં આ પ્રશ્નો પૂછ્યા
- સરખેજ રોડ ઉપર મંદિર તોડવામાં આવ્યું તેની બાજુમાં એક કબરને કેમ તોડવામાં ન આવી?
- અંજલિ પાસે રોડ પર કબર તૂટી ગઇ હતી. અત્યારે ત્યાં બે માળની મસ્જિદ કેવી રીતે બની?
- સ્કાઉટ ભવન પાસે મહાદેવનું મંદિર હતું, તે તોડી પડાયું પણ કોના કહેવાથી તે તૂટ્યું?
જવાબદાર સામે પગલાંની ભાજપની માંગ
મંદિર રિવરફ્રન્ટના વિકાસમાં આડે આવતા તોડો છો તો રિવરફ્રન્ટના વિકાસમાં દરગાહ પણ આવે છે તે કેમ તોડવામાં નથી આવતી મૂર્તિઓ તોડનાર સામે પગલાં લેવા જોઇએ.-અમિત શાહ, મ્યુનિ. ભાજપ પક્ષના નેતા