સુરત. કોરોનાનો કહેર વધતો જાય છે તેમ ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 9511 શંકાસ્પદોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાથી 471 જેટલા દર્દીઓ પોઝિટિવ આવ્યાં છે.અમરોલીના વૃધ્ધના મોતથી મૃત્યુઆંક 15 થયો છે. રેપિડ એન્ટી બોડી કિટથી થયેલા ટેસ્ટમાં પ્રથમ દિવસે એક પોઝિટિવ દર્દી નોંધાયો હતો. પાલિકા દ્વારા 14 જેટલા કલસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં એક્ટિવ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
વધુ એક પોઝિટિવનું મોત
અમરોલી ખાતે કોરોના પોઝિટિવ દર્દી દીપકભાઈ રણછોડભાઈ ભટ્ટ(ઉ.વ.આ.58)નું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. દીપકભાઈ ભટ્ટ મૂળ ભાવનગરના વલભીપુર ગામના વતની હતા. છેલ્લા 5 વર્ષથી સુરત સ્થાયી થયા હતા.દિપકભાઈ ભટ્ટના પરિવારને અમરોલી ખાતે તેમના નિવાસ સ્થાન રજવાડી પાર્ટી પ્લોટ સ્વીટ હોમ ટેનામેન્ટ ખાતે હોમ ક્વોરન્ટીન કરેલા છે. ત્યાં તેમના પુત્ર ચિરાગ (ઉ.વ.૩૦) ની તબિયત તેમના ઘરે ગઈકાલ સાંજની ખરાબ છે તેને પણ તાવ અને ગળામાં તકલીફ જેવું છે.
સ્લમ વિસ્તારમાં 19 ફિવર ક્લિનિક
ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણી અંતર્ગત 665 ટીમો દ્વારા આજ સુધી ૧,૭૧,૮૫૪ ઘરો તેમજ ૬,૩૨,૩૪૮ નાગરિકોની સઘન ચકાસણી અને સર્વે પ્રક્રિયા કરવામાં આવી છે.શહેરમાં આજે ધાર્મિક સ્થળો, એ.પી.એમ.સી. બેંકો, સરકારી કચેરીઓ સહિત મેડિકલ સેન્ટરો, ડેરીઓ અને આવશ્યક વસ્તુઓની દુકાનો જેવા મહત્વના સ્થળો સહિત કુલ ૪૩૩૮ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. આજ સુધી શહેરમાં ૯૭,૯૭૩ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરાઈ છે. સ્લમ વિસ્તારમાં પોઝિટીવ કેસો વધવાના પડકારને પહોંચી વળવા ૧૯ જેટલાં ફિવર ક્લિનિક શરૂ છે.