સિદ્વપુર. કેટલાક વેપારીઓ વધારે ભાવ લઇ ગ્રાહકોને છેતરતા હોવાની રાવ ઉઠતા મહેસાણા, પાટણ જિલ્લાના તોલમાપ અધિકારી એન. એમ. રાઠોડ, એમ, આર પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા સિદ્ધપુર શહેર અને ગામોમાં છાપેલી કિંમત કરતા ભાવ વધારે વસૂલે છે કે કેમ તેની તપાસ હાથ ધરવા માટે સિદ્ધપુરના રાજપુર વિસ્તારમાં આવેલ ભાથીજી કિરાણા સ્ટોર ખાતે તોલમાપ નિરીક્ષકો ગ્રાહકનો સ્વાંગમાં દૂધ અને છાસની થેલીઓની ખરીદી કરવા ગયા હતા.
દુકાન પર હાજર વ્યક્તિએ દૂધ અને છાશની થેલી પર છાપેલી કિંમત કરતા બે રૂપિયા વધારે વસૂલતા તોલમાપ તંત્રએ દુકાનદારને પૂછતાં તેઓએ અમે તો આ પ્રમાણે જ ભાવ લઈએ છીએ જેથી તોલમાપ અધિકારી દ્વારા કાયદા મુજબ ગુનો દાખલ કરતા દુકાન પર હાજર પાર્વતીબેન રમણલાલ પટેલ અને તેમના પતિએ હાજર તોલમાપના સ્ટાફ સાથે અસભ્ય વર્તન અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી દુકાનનું શટર બંધ કરી જતા રહ્યા હતા. જેથી તોલ માપની ટીમે સિદ્ધપુર પોલીસ સ્ટેશને પહોંચી રજૂઆત કરતા સિદ્ધપુર પોલીસ ઘટના સ્થળે આવી કાર્યવાહી કરી હતી. દુકાનદારે અસભ્ય વર્તન બદલ માફી માંગી હતી. દુકાનદાર દ્વારા છાપેલ કિંમત કરતાં વધારે ભાવ વસૂલવા અંગે તેમજ ઉપયોગમાં લેવાતા વજન માપ સાધન પ્રમાણિત કરાવેલ ન હોવા અંગે મેટ્રોલોજી એક્ટ 2009 ના નિયમોના ભંગ બદલ ગુનો દાખલ કરી ચાર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો